રાજ્યમાં આજે યોજાયેલા રાજ્યવ્યાપી શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જોડાઇને તેને સફળ બનાવનારા શિક્ષક સમુદાયનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આભાર વ્યકત કર્યો છે તો શૈક્ષિક સંઘે વિરોધમાં શિક્ષણમંત્રીનું રાજીનામુ માગ્યું હતું.
શિક્ષક સજ્જતા કસોટી મામલો ગરમાયો
શિક્ષણમંત્રી અને શૈક્ષિક સંઘ આવ્યા આમને-સામને
શિક્ષણમંત્રીએ પરીક્ષા આપનાર શિક્ષકોનો માન્યો આભાર તો શૈક્ષિક સંઘે કર્યો વિરોધ
શિક્ષણમાં આમૂલ ગુણાત્મક પરિવર્તન માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યાં છે. 24 ઑગસ્ટના રોજ યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત હોવા છતાં, અંદાજે 57000 જેટલા શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ સર્વેક્ષણમાં જોડાયા હતા.
દેશમાં પ્રથમ વખત આવુ સર્વેક્ષણ યોજાયું : શિક્ષણમંત્રી
ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકોએ શિક્ષકોને આ સર્વેક્ષણનો બહિષ્કાર કરવા ઉશ્કેર્યા હતા તેમ છતાં હજારોની સંખ્યામાં શિક્ષકોએ આ સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાઈને પોતાની શિક્ષક તત્પરતા અને નિષ્ઠા પ્રદર્શિત કરી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારતના કોઈપણ રાજ્યમાં આટલા મોટા સ્કેલ પર આવુ સર્વેક્ષણ અગાઉ કદી પણ થયું નથી. ગુજરાત સરકાર દ્વારા થયેલ આ સર્વેક્ષણ દેશનુ સૌથી પહેલુ અને સૌથી મોટુ છે.
શિક્ષણ સચિવ વિનાદ રાવે આપ્યું મોટું નિવેદન
આ અભિયાન અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ સચિવ વિનાદ રાવે જણાવ્યું કે, અત્યાર સુધીના શિક્ષણના ઈતિહાસમાં આ પ્રકારનુ સર્વેક્ષણ આટલા વિશાળ સમૂહ પર અગાઉ ક્યારેય થયું નથી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ઐતિહાસિક પહેલ ભવિષ્યમાં ભારતનાં અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની રહેશે. આ સર્વેક્ષણના વૈજ્ઞાનિક પૃથક્કરણ દ્વારા આગામી તાલીમનું આયોજન એકદમ ધ્યેયલક્ષી રીતે થશે. તમામ જ શિક્ષકોને એકસમાન તાલીમ આપવામાં ક્યારેક જરૂરિયાત ન હોય તેવા વિષયની તાલીમ પણ શિક્ષકોએ લેવી પડતી હોય છે. એના બદલે આ ડેટાના આધારે જે તે શિક્ષક માટે જરૂરી એવી તાલીમનું આયોજન કરી શકાશે જેથી સમય અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ થશે.
37 ટકા જેટલા શિક્ષકોએ આપી કસોટી
આ સાથે જ સચિવે વધુમાં કહ્યું કે, પ્રાથમિક શિક્ષકો પૈકી સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ, દિવ્યાંગ શિક્ષકો, સ્કૂલ ઇન્સ્પેક્ટર વગેરેને બાદ કરતાં મહત્તમ અંદાજે 1,51,000 શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાવા પાત્ર હતા. જૈ પૈકી 57,000 એટલે કે 37 ટકા જેટલા શિક્ષકો આ મરજીયાત અને સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાયા હતા. મોટાભાગે આવાં કોઈ પણ સ્વૈચ્છિક સર્વેક્ષણોમાં સામાન્ય રીતે 5 થી 10% લોકો જોડાતા હોય છે. જ્યારે ગુજરાતમાં 37% જેટલા શિક્ષકોએ આટલી મોટી સંખ્યામાં સર્વેક્ષણમાં ભાગ લઈને પોતાની પ્રતિબદ્ધતાનાં દર્શન કરાવ્યાં છે.
શૈક્ષિક સંઘે કહ્યું- શિક્ષકોની તાલિમ હોય કસોટી નહીં
પરીક્ષાના વિરોધ બાદ શૈક્ષિક સંઘે પત્રકાર પરિષદ કરી પોતાની વાત મૂકી છે,રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલે કહ્યું હતું કે 90 ટકાથી વધુ શિક્ષકોએ સજ્જતા કસોટીનો વિરોધ કર્યો છે, અધિકારીઓના કારણે શિક્ષણમંત્રી ગેરમાર્ગે દોરાય ગયા, સરકારના પરિપત્રમાં ફરજિયાત કે, મરજિયાતનો ઉલ્લેખ ન હતો. CCCની પરીક્ષામાં પણ આવી જ સ્થિતિ હતી, અમે સર્વેક્ષણનો રસ્તો બતાવ્યો હતો પણ મેરીટ પર આવતા શિક્ષકોની સર્વેક્ષણના નામે કસોટી ન કરી શકાય. વધુ તેમને કહ્યું હતું કે શિક્ષકોએ સર્વેક્ષણનો વિરોધ કરીને 2 લાખ શિક્ષકોનું સ્વાભિમાન બચાવ્યું છે કારણ કે શૈક્ષિક સંઘની વાત શિક્ષણમંત્રી માનતા ન હતા જ્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના કેટલાક લોકોનું શિક્ષણમંત્રી સાંભળે છે પણ અધિકારીઓ તેમને ગેરમાર્ગે લઈ જાય છે.
શિક્ષણમંત્રી રાજીનામુ આપે : ઘનશ્યામ પટેલ
ઘનશ્યામ પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચીમકી ઉચ્ચારી હતી કે 2 લાખ શિક્ષકો સમાજનું રચનાત્મક કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવણી કરીશું. હું RSSમાંથી આવ્યો છું. અમે શિક્ષણ મંત્રી આજે જ રાજીનામું આપે તેવી માંગ કરીએ છીએ. જો આવતીકાલથી અમારા પ્રશ્નોનોનો નિકાલ નહિ આવે તો અમે આગામી સમયમાં વધુ આક્રમક રીતે આંદોલન કરવાના છીએ. સરકાર ગુરુદેવોની વાત સાંભળી જોઈએ 2 લાખ શિક્ષકોમાંથી માત્ર 56000 શિક્ષકોએ જ પરીક્ષા આપી છે ત્યારે જો આગામી 3 દિવસમાં શિક્ષકોની વાતને સરકાર દ્વારા માની નહીં લેવામાં આવે તો હવે રસ્તા પર ઉગ્ર વિરોધ કરવાનું આયોજન છે.