ગાંધીનગર: ભાજપના નારાજ ધારાસભ્યોને મનાવવા માટે ભાજપે કવાયત્ શરૂ કરી દીધી છે. વડોદરાના ત્રણેય ધારાસભ્યને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. નીતિન પટેલ નારાજ ધારાસભ્યો સાથે મુલાકાત કરી શકે છે. જો કે હાલ તો ત્રણેય ધારાસભ્યને ગાંધીનગર બોલાવ્યા છે.
જોકે તેમાં યોગેશ પટેલ મેડિકલ કારણોસર ગાંધીનગર નહીં જાય છે. મહત્વનું છે કે મધુ શ્રીવાસ્તવ યોગેશ પટેલ અને કેતન ઈનામદાર સરકારી અધિકારીઓથી નારાજ છે. ધારાસભ્યોનો આક્ષેપ છે કે અધિકારીઓ યોગ્ય કાર્ય ન કરતા હોવાથી પ્રજાકીય કાર્યો થઈ શકતા નથી.
ઉલ્લેખનીય છે કે ભાજપના 3 ધારાસભ્યો પોતાના પક્ષથી નારાજ થતા તેમણે બંધબારણે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મધુ શ્રીવાસ્તવ યોગેશ પટેલ અને કેતન ઈનામદાર હાજર રહ્યા હતા અને પક્ષ દ્વારા કરવામાં આવતી તેમની અવગણના અંગે ચર્ચા કરી હતી.
એક તરફ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઇઝરાયેલની મુલાકાતે છે ત્યારે ગુજરાત ભાજપના 3 ધારાસભ્ય નારાજ થતા જ ભાજપમાં ભડકો થવાના એંધાણ થયા હતા. આ ઘટના અંગેની જાણકારી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષને થતા જ તેઓએ ત્રણેય ધારાસભ્ય સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી.
ત્યારે તાજેતરમાં મળતા અહેવાલ મુજબ વડોદરાના ત્રણેય ધારાસભ્યને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને રાજ્યના ઉપ.મુખ્યમંત્રી અને પક્ષના પીઢ નેતા નીતિન પટેલ તેમની સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી શકે છે. જો કે મેડિકલ કારણોસર યોગેશ પટેલ આજરોજ ગાંધીનગર હાજર નહીં રહી શકે તેવા અહેવાલ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા હતા.