કયા કયા મુદ્દા પર થશે ચર્ચા?
સવારે 10 કલાકે ગાંધીનગર ખાતે મળનારી આ બેઠક અતિ મહત્વની હશે કારણ કે ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા દરેક સમાજ દરેક વર્ગ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સમક્ષ આવી રહ્યો છે. આજે કેબિનેટ બેઠકમાં મહત્વના 2 મુદ્દાઓ પર ખાસ ચર્ચા થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 1) સી આર પાટીલના નિવેદન બાદ ઢોર નિયંત્રણ બિલમાં ફેરવિચારણા 2) 10 હજાર ડોકટરોની હડતાળનો મુદ્દો. આ સિવાય પણ રાજ્યમાં પીવામાં પાણીની સ્થિતિ, પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીની માંગણી વિદ્યા સહાયક ઉમેદવારોના વિરોધ બાબતે કેબિનેટમાં ચર્ચા થશે તેવી માહિતી મળી રહી છે.
ડૉક્ટર હડતાળનો આજે બીજો દિવસ
રાજ્યભરમાં સોમવારથી 10 હજાર કરતા વધુ ડૉક્ટર્સ પોતાની પડતર માંગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેની અસર સરકારી હોસ્પિટલની તમામ સેવાઓ પર પણ પડી હતી. રાજ્યભરમાં OPD, ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી ડૉક્ટર્સ અળગા રહ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારામાં ડૉક્ટર્સની હડતાળથી ઈમરજન્સી સારવારને પણ અસર થઈ હતી. જેમાં ડૉક્ટર્સની માગ છે કે, છેલ્લા 12 વર્ષથી જે બઢતી રોકી દેવામાં આવી છે તેને શરૂ કરવામાં આવે. રિટાયર્ડ ડૉક્ટર્સને પેન્શન આપવામાં આવે, કોન્ટ્રાક્ટ ભરતી બંધ કરવામાં આવે. આ સાથે સરકારે અગાઉ ડૉક્ટર્સને જે બાહેંધરીઓ આપી હતી તે તમામ પૂર્ણ કરવામાં આવે.
શું છે ડૉક્ટર્સની માંગ ?
ડૉક્ટર્સની અલગ અલગ માંગણી એડહોકસેવાઓ સળંગ કરાય
છેલ્લા 12 વર્ષથી બઢતી કરાતી નથી, તે બઢતી તાત્કાલિક કરાય
રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે જેમને બઢતી આપે
થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરાય
રખડતાં ઢોર નિયંત્રણ કાયદામાં ફેરબદલની આધિકારિક જાહેરાત થઈ શકે
રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાયદા અંગે ફેરવિચારણાં થઈ શકે છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. ત્યારબાદ હવે માલધારી સમાજના આગેવાનોએ સી.આર.પાટીલ સાથે બેઠક કરી છે. માલધારી સમાજના આગેવાનો CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરશે. માલધારી સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ આગામી સત્રમાં બિલ રદ કરવા સી.આર.પાટીલે ખાત્રી આપી છે. મુખ્યમંત્રી કાયદા રદ કરવાનો નિર્ણય લઈ શકે છે. મહત્વનું છે કે, રાજ્યમાં ઠેર ઠેર માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો હતો. ભારે વિરોધ અને રજૂઆતોને પગલે કાયદો રદ થવાની શક્યતાંઓ છે. સરકાર ટુંક સમયમાં કાયદામાં ફેરબદલ કરી શકે છે.
પશુ નિયંત્રણ કાયદા અંગે સી.આર.પાટીલે શું આપી ખાતરી ?
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, કાયદા અંગે ફરીથી વિચાર કરીશું. માલધારી સમાજની રજૂઆતો સાંભળી છે. આવનારા સત્રમાં કાયદો પરત લેવાશે. માલધારી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરશે.
ગુજરાતમાં ક્યાં ક્યાં માલધારી સમાજે કર્યો વિરોધ ?
પશુ બિલ મુદ્દે અનેક શહેરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સોમવારે અમદાવાદ કલેકટર કચેરીએ માલધારી સમાજ એકઠો થયો અને વિધાનસભામાં પસાર થયેલો કાયદો રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ અને રઘુ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે માલધારી સમાજે વિરોધ કર્યો છે. જામનગરમાં પશુ બિલ વિરુદ્ધ માલધારી સંગઠનોએ પ્રદર્શન કર્યું છે. વડોદરામાં ગોપાલકો અને માલધારી સમાજના લોકોએ કલેક્ટર ઓફિસે પહોંચીને બેનર સાથે નારેબાજી કરી. બનાસકાંઠાના પાલનપુરમાં માલધારીઓએ ગોચર પાછું આપવાની માગ સાથે વિરોધ વ્યક્ત કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહેસાણામાં પણ માલધારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગ કરી હતી તથા ગૌહત્યા બંધ કરાવવા માટે પણ માલધારી સમાજે માગ કરી હતી. તો સુરતમાં માલધારી સમાજે કલેકટર કચેરીએ એકઠા થઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા.
ઢોર નિયંત્રણ બિલમાં શું છે જોગવાઇ
શુક્રવારે વિધાનસભામાં 6થી 7 કલાકની ચર્ચા બાદ બિલ થયું પાસ
લાંબી ચર્ચા બાદ દંડની રકમમાં કરવામાં આવ્યો ઘટાડો
અગાઉ બિલમાં 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની હતી જોગવાઈ
ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર રૂપિયા કરવામાં આવી
શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે