ગાંધીધામમાં રહેતી દીકરીને તાવ આવતા પરિવારજનો તેણીને દવાને બદલે ડામ આપવા લઈ ગયા હતા જેને લઇને બાળકીની હાલત ગંભીર બની હતી.
બાળકીને શરીરે દુખાવો ઉપડ્યો
બાળકીને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ
હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરી સામખીયાળી પોલીસમાં જાણ
આધુનિક સમયમાં આજે પણ અંધશ્રદ્ધાનું અસ્તિત્વ ઘણી જગ્યાએ જોવા મળે છે. અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. તેવો જ એક કિસ્સો ગાંધીધામમાં સામે આવ્યો છે. જેમાં ગાંધીધામના એરપોર્ટ ચોકડી નજીકના અંબાજી ચાર રસ્તા પાસે રહેતી 13 વર્ષની બાળકીને તાવ અને કમળો આવ્યો હતો. આ બીમારીની હોસ્પિટલમાં દવા લેવાને બદલે તેમના પરિવારજનોએ તરૂણીને ભચાઉ તાવ ઉતારવા લઈ ગયા હતા. જ્યાં પાડોશીએ અગરબત્તી વડે ડામ દેતા બાળકીની હાલત ગંભીર થઇ હતી આથી તેણીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
દીકરીને સારું થઇ જશે તેમ કહી શખ્સે આપ્યા ડામ
કચ્છના ગાંધીધામમાં પરિવાર સાથે રહેતી જિજ્ઞા રમેશભાઈ મોરવાડિયા નામની બાળકીને 10 દિવસ પહેલા બીમાર પડતા તેમને તાવ આવતો હતો આ દરમિયાન તેણીને કમળાની અસર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવાર બાળકીને દવા લેવા હોસ્પિટલમાં લઈ જવાને બદલે બાળકીના દાદી અને પરિવારજનો તેણીને સારવાર માટે ભચાઉ કમળો ઉતરાવવા લઈ ગયા હતા અને ત્યાં તેમને સારું થઈ જવાના બહાના હેઠળ શખ્સે શરીરે ડામ આપ્યા હતા ત્યારબાદ તેમને ઘરે લઈ ગયા હતા.
આજે પણ અનેક પરિવારોમાં અંધશ્રદ્ધાનું અસ્તિત્વ
થોડા દિવસ બાદ બાળકીને શરીરે દુખાવો ઉપાડતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ ઘટના અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સામખીયાળી પોલીસમાં જાણ કરી હતી.ઉલ્લેખનીય છે કે,આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા અમુક લોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે. આજે પણ ઘણાં લોકો ડામ આપવાથી તેમનાં માંદા બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રહે છે. પરંતુ આમાં બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે.જેથી આ મામલે સામાજિક અને આરોગ્યલક્ષી જાગૃતિ જરૂરી છે.