મહાત્મા ગાંધી આ એક એવા મહામાનવનું અતિ મૂલ્યવાન નામ છે જેનું નામ ઉચ્ચારવા માટે વ્યક્તિની પોતાની એક હેસિયત જોઈએ. પરંતુ બદલાતી રાજનીતિએ આ મહામાનવનું નામ એટલું સસ્તુ કરી દીધું છે કે, આ નામનો ઉપયોગ કોઈ પણ પક્ષ, કોઈ પણ નેતા કે કોઈ પણ સંસ્થા પોતાનો સ્વાર્થ સાધવા કરી શકે છે. આ માહોલમાં ગાંધી સંઘર્ષનાં એ દક્ષિણ આફ્રિકામાં ગાંધીનાં નામે એક એવી પણ કૂચ યોજાય છે. જે જોઈને ગાંધીજીનો આત્મા જ્યાં હશે ત્યાંથી સંતોષ વ્યક્ત કરતો હશે.
મહાત્મા ગાંધી આ વિરલ વિભૂતિનાં સત્ય અને પરમાર્થનાં સિદ્ધાંતો ભલે આપણાં નેતાઓ ભૂલી ગયાં હોય. આ અહિંસા અને અપરિગ્રહનાં સ્વામીનો ભલે કહેવાતા સમાજ સેવકોએ ભરપૂર લાભ ઉઠાવી લીધો હોય. પરંતુ સમગ્ર દુનિયાનાં આ બાપુને આજ કાલ દક્ષિણ આફ્રિકામાં સાચી રીતે સન્માન મળી રહ્યું છે. દક્ષિણ આફ્રિકાનાં લેનાસિયામાં 'ગાંધી વોક' નામનાં વાર્ષિક કાર્યક્રમમાં 5 હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો. ગાંધી વોક કાર્યક્રમની આ 34મી આવૃત્તિ હતી.
હકીકતમાં આ પ્રકારનું આયોજન કરવા પાછળ એ વાત નિમિત્ત બની ગઈ કે, દક્ષિણ આફ્રિકાનાં જહોનિસબર્ગનથી 30 કિમી દૂર આવેલા લેનાસિયામાં ગાંધી મેમોરિયલ હોલનું નિર્માણકાર્ય કરવાનું હતું. જેનાં ખર્ચને પહોંચી વળવા માટે ગાંધી કૂચ યોજીને ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું. પરંતુ જરૂરિયાતનાં આધારે શરૂ કરાયેલી આ ગાંધીકૂચ દક્ષિણ આફ્રિકાનાં લેનાસિયાના નાગરિકોમાં એટલી હદે લોકપ્રિય બની ગઈ કે પછી દર વર્ષે 9 એપ્રિલે ગાંધીવોકનું આયોજન થાય તેવી નાગરિકોમાંથી માંગ ઊઠી એ પછી છેલ્લાં 34 વર્ષથી લેનાસિયામાં ગાંધીવોકનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક નાગરિકો ઉત્સાહથી જોડાય છે. અહીંનાં નાગરિકોમાં ગાંધીકૂચ એક લોકપ્રિય કાર્યક્રમ બની ચૂક્યો છે.
આપણે ત્યાં ગાંધીનાં નામે વોટ અંકે કરવામાં આવે છે અથવા તો ગાંધીજીનાં નામે કોઈ કાર્યક્રમને નિમિત્ત બનાવીને નાણાં એકઠાં કરી લેવામાં આવે છે પછી તે નાણાનું શું થાય છે તે કોઈને કશી ખબર પડતી નથી. પરંતુ ગાંધીજીની સંઘર્ષભૂમિ એવા લેનાસિયામાં દર વર્ષે યોજાતા ગાંધીકૂચનાં આયોજન દ્વારા એકઠા થયેલાં ભંડોળનો ઉપયોગ જરૂરિયાતમંદો અને ગરીબોની જરૂરિયાત માટે ખર્ચ કરવામાં આવે છે. આ ભંડોળમાંથી કેટલોક ભાગ ધાર્મિક અને સામાજિક સંગઠનોને પણ આપવામાં આવે છે. ખાસ કરીને ભંડોળ સોંપતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે, આ નાણાંનો ઉપયોગ અનાથ અને વયોવૃદ્ધ લોકોની સેવા પાછળ ખર્ચ કરવામાં આવે.
આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવાશે અને આ નિમિત્તે દક્ષિણ આફ્રિકામાં અનેક પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન થશે. આ પ્રકારનાં કાર્યક્રમો દ્વારા દાનમાં આવેલી રકમનો ઉપયોગ અનેક કલ્યાણકારી પ્રવૃત્તિ પાછળ ખર્ચાશે. ખાસ કરીને અનાથાશ્રમો અને વયોવૃદ્ધ લોકોની સેવા માટે આ નાણાંનો ઉપયોગ કરવામાં આવશે. કેમ કે, ગાંધીવિચાર એક સામાજિક ઉપચારનું કામ કરવા માટે પૂરતો છે.