ભાવનગરઃ ખાદીએ પોશાક નથી પરંતુ દેશના ગામડાઓમાં વસતા ગરીબોના દિલની ધડકન છે. તેવા ઉદેશ સાથે ગાંધીજીએ ખાદીને વેગ આપવા કાંતણ અને વણાટ કામની શરૂઆત કરાવી હતી. ભાવનગરમાં ૫૦ વર્ષ બાદ ખાદી સાથે સંકળાયેલા પરિવારોને અને ખાદી ભંડારોની આર્થિક કટોકટીનાં કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. દેશમાં ૨ ઓકટોબરે ગાંધીજીને યાદ કરવાનો અને ૨ મિનીટ માટે ચરખો કાંતિને ખાદીને યાદ કરવામાં આવે છે.
બાકીના દિવસોમાં લોકો પ્રત્યે ખાદીની સુગ દુર થતી નથી. અત્યારે કાંતવા માટેના ચરખા પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. ખાદી કામ સાથે જોડાયેલ લોકોનું માનવું છે કે આધુનિક ટેકનોલોજી યુગમાં અને અન્ય રેડીમેડ કાપડની સરખામણીએ ખાદીને ટક્કર આપી શકે તેવું કોઇ કાપડ નથી. તેને બનાવનારા લોકો પણ હવે રહ્યા નથી.
ભાવનગર જીલ્લા અને શહેરમાં સૌથી મોટો કહી શકાય તેવો ખાદીગ્રામ ઉદ્યોગ ચાલે છે. પરંતુ અહી ચરખાના કામ કરનાર લોકો માટે રૂ કે અન્ય મટીરીયલ મળતું નથી. તો બીજી બાજુ કાપડના વણાટ માટે પણ અન્ય ખાદી ભંડારો પર આશા રાખવી પડે છે. ભાવનગરમાં વણાટ કામ કરતા લોકો હાલ ચલાલાથી સુતર સહિતનો કાચો માલ લાવે છે.
ભાવનગર ખાદી ઉદ્યોગ ભંડાર વર્ષો સુધી ધમધમતો રહ્યો છે. પરંતુ સમય જતા અને ટ્રસ્ટીઓમાં ફેરફાર થતા ખાદી ઉધોગને વેગવંતો બનાવવા કોઈ જ પ્રાયાસ થતા નથી. અત્યારે સંચાલકો હવે રહી રહીને ખાદી ક્ષેત્રે રોજગારી મેળવતા લોકોને ટકાવવા નવા વાઘા પહેરાવી રહ્યા છે. ગ્રાહકોને આકર્ષવા કમર કસી છે. ખાદીને ૨ ઓકટોબર જ નહિ પરંતુ રોજ પહેરાય અને જીવનમાં વણવામાં આવે તેવું પરિવર્તન આવવું જાઇએ.