2019ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આજે મતદાન પૂર્ણ થયું છે. ત્યારે 2014ની માફક આ વખતે ભાજપના બ્રહ્માસ્ત્ર મોદીએ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. અનેક ચૂંટણી સભાઓ ગજવવી પડી હતી. કારણ કે આ વખતે ભાજપ માટે ગુજરાતમાં કપરા ચઢાણ હતા. જેમ 2014માં 26માંથી 26 મળી હતી તે કદાચ આ વખતે ન મળે. તેથી ભાજપે એડીચોટીનું જોર લગાવવું પડ્યું હતું.
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપે ચૂંટણી લડી હતી. જેમાં ભાજપને છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછી બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો જ મળી હતી. વિધાનસભાની ચૂંટણીના આ પરિણામોની સીધી અસર લોકસભાની ચૂંટણીમાં પણ થઈ શકે તેવા ભયને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 8 લોકસભા બેઠક પર પ્રચાર કર્યો હતો. તે લોકસભા બેઠકમાં આવતી વિધાનસભામાં ભાજપે હારનો સામનો કર્યો હતો. રૂપાણીના નેતૃત્વમાં ભાજપે 8 લોકસભા બેઠકમાં આવતી કુલ 56 વિધાનસભા સીટોમાંથી ભાજપ પાસે માત્ર 16 બેઠકો જ રહી હતી.
8 લોકસભા બેઠક પર વિજય મેળવવા માટે ભાજપની રણનીતિ
2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ 26 બેઠકો મેળવનાર ભાજપ માટે 2015 બાદ ગુજરાતના બદલાયેલા રાજકીય સમીકરણોને જોતા 8 લોકસભા બેઠક પર ભાજપ માટે કપરાં ચઢાણ મંડાયા હતા. ત્યારે આ આઠ લોકસભા બેઠક પર ભાજપે ખાસ રણનીતિ તૈયાર કરી હતી. ભાજપ માટે પડકારજનક આઠ લોકસભા બેઠકોમાં આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થતો હતો.
આનંદીબેન પટેલ અને તે પછી વિજય રૂપાણી શાસન દરમિયાન રાજકીય ઉથલ પાથલ
ગુજરાતમાં 2014ની લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની જતા તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલ અને તે પછી વિજય રૂપાણીને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું. આ બન્ને મુખ્યમંત્રીના શાસન દરમિયાન અનેક રાજકીય ઊથલ પાથલ થઈ. જેના કારણે 2015 બાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો અને આ ફટકાની અસર લોકસભાની આઠ બેઠકો પર પણ પડી શકે છે. જેના કારણે ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ આ 8 લોકસભા બેઠક પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરીને હારની બાજી જીતમાં ફેરવવા માટે પ્રયાસો કર્યા.
કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા અને ભાજપમાં પ્રવેશ આપી દીધો
ભાજપ માટે જીત મુશ્કેલ છે તેવી આઠ લોકસભા બેઠકમાં આવતી 56 વિધાનસભાની બેઠકોના 2017ના પરિણામ જોઈએ તો ભાજપને માત્ર 16 વિધાનસભા બેઠક પર જ વિજય મળ્યો હતો. ત્યારબાદ જૂનાગઢના માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં ભેળવી દેતા આઠ લોકસભા બેઠકોમાં આવતી માણાવદર અને ધાંગધ્રા બેઠક ખાલી પડી. આ 8 લોકસભા બેઠક પર વિજય મેળવવા માટે ભાજપે શરૂ કરેલી રણનીતિના ભાગરૂપે જુનાગઢ લોકસભાના માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા અને ભાજપમાં પ્રવેશ આપી દીધો હતો. આ જ રીતે સુરેન્દ્રનગર લોકસભામાં આવતી ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્યોએ પણ ભગવો ધારણ કરી લીધો.
નરેન્દ્ર મોદી હારની જીતમાં ફરવવાના માસ્ટર!
હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ મેદાનમાં ઉતરીને પોતાના ગઢમાં તાબડતોડ પ્રચાર કર્યો અને હારની બાજી જીતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો. જો કે તેમાં કેટલી સફળતા મળી તે તો 23મે એ જ ખબર પડશે. પરંતુ ઈતિહાસ એવુ કહે છે કે નરેન્દ્ર મોદી હારની જીતમાં ફરવવાના માસ્ટર છે. તેઓ જ્યાં પ્રચાર કરે તેનું ચિત્ર બદલી શકે છે. ત્યારે જોવું રહ્યું કે ફરી આ ઈતિહાસનું પુનરાવર્તન થશે કે પછી આ ઈતિહાસ ઈતિહાસ જ બની જશે.