કાયદાના રખેવાળોના મનસ્વી વર્તનથી પોલીસતંત્ર શર્મસાર થયું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ જાહેરમાં બળપ્રયોગ કરતી અનેક વખત જોવા મળી છે. પરંતુ ગુજરાતમાં ધર્મના સ્થાનક પર કારણ વગર સાધુ પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટના બાદ અનેક હરિભક્તોના હૃદય રોષથી ભભૂકી ઉઠ્યો છે. તો શું કર્યું પોલીસે કે જેના કારણે ધર્મના રાજમાં સર્જાયું ભયનું સામ્રાજ્ય...
મંદિર પરિસરમાં પોલીસનો આતંક
ભગવાનને દ્વાર અપશબ્દોની ભરમાર
શું કાયદો આવી પરમિશન આપે છે?
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પોલીસની દાદાગીરીથી હરિભક્તોમાં ચિંતા વ્યાપી છે. હમણાં જ મંદિરના ચેરમેન તરીકે નિમાયેલા ભગતને DySP રાજદિપસિંહ નકુમે લાફો માર્યો હતો. ગોપીનાથજી મંદિરના 7 ટ્રસ્ટીઓ ચૂંટાયા પરંતુ 5 મહિનાથી મિટિંગ બોલાવાઈ નથી. ચૂંટણીમાં દેવપક્ષના ટ્રસ્ટીઓ ચૂંટાયા પરંતુ સત્તા ફરી આચાર્યપક્ષના હાથમાં સરકી છે. નૌતમ પ્રકાશ અને વિવેક સાગર સ્વામી પર આચાર્યપક્ષે ગંભીર આરોપ લગાવ્યા છે. નૌતમ સ્વામી અને વિવેક સાગર સ્વામી પોલીસનું સંચાલન કરતી હોવાનો આરોપ કરાયો છે.
16 વર્ષે સુપ્રીમકોર્ટની દરમિયાનગીરીથી ચૂંટણી થઈ પણ વિવાદનો અંત હજુ આવ્યો નથી. દેવપક્ષને ભાજપ સરકાર મદદ કરતી હોવાનો આચાર્યપક્ષ આરોપ લગાવી રહ્યું છે. પોલીસે ગઢડા ગોપીનાથજી મંદિરમાં ઘૂસીને બેફામ દાદાગીરી ચલાવી હતી. ટ્રસ્ટમાં ચેરમેનની જવાબદારી સંભાળતા વ્યક્તિ સાથે પોલીસે દાદાગીરી કરી હતી. ટ્રસ્ટની જ ઓફિસમાં ઘૂસીને DySP નકુમ સાંભળી ન શકાય તેવી ગંદી ભાષા બોલે છે. ટ્રસ્ટે રિલિઝ કરેલા CCTVમાં DySP નકુમ પાર્ષદ અને સાધુઓને ગાળો બોલતા સંભળાય છે. ભગવાનના પવિત્ર મંદિરમાં પોલીસનો આવો જાપ્તો કોના ઈશારે થયો તે સવાલ છે.
CCTV ફુટેજ આવ્યા સામે
બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા સ્વામીનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિરમાં બનેલી ઘટના જોઇને આંચકો લાગ શે. મંદિર પરિસરના મીટિંગહોલમાં સાધુના વસ્ત્રોમાં સજ્જ સ્વામી પર હુમલો કરવામાં આવ્યો હતો. કેમકે આપ જોઈ શકો છો બોટાદ DYSP નકુમ સાદા ડ્રેસમાં દબંગ સ્ટાઈલમાં ચેમ્બરમાં ઘૂસી આવ્યા છે અને કમિટી મેમ્બર સામે રોફ જમાવી રહ્યા છે. એટલું જ નહીં તેમણે કાયદાની તમામ નિયમો મૂકીને કશા કારણ વગર ચેરમેન ભગત સ્વામી પર બળપ્રયોગ પણ કર્યો હતો. DYSP નકુમ સત્તાના મદમાં કાયદાના નિયમનોને નેવે મૂકીને અને મંદિરની ગરિમાને લજવીને સ્વામીને એવી રીતે ઢસડી ગયા જાણે કે સ્વામી કોઈ મોસ્ટ વોન્ટેડ અપરાધી હોય.
SP સ્વામીએ DYSP નકુમને કાયદાની મર્યાદા જાળવવા વિનંતી કરી હતી. સાહેબે રોફ બતાવ્યો હતો. અહીં લાઠી પ્રયોગ બાકી હતો. પરંતુ એક કોન્સ્ટેબલની દરમિયાનગીરીથી લાઠી વિંઝી ન શક્યા. હવે થોડી વાર બીજા કોન્સ્ટેબલે હાથમાં લીધી અને આચાર્યપક્ષના સભ્યોને રૂમ બહાર હાંકી કાઢ્યા હતા. બધાને રૂમ બહાર કાઢ્યા બાદ નકુમ સાહેબ રૂમમાં અંદર પ્રવેશ્યા હતા. ચેરમેનની ખુરશી પર બેસી ગયા બાદ પણ DYSP નકુમે બધા સાધુ અને મેમ્બર્સને ધમકાવાનું ચાલુ રાખ્યું હતું. ધર્મના રાજ્યમાં ભયનું સામ્રાજ્ય ફેલાવીને સાહેબ જાણે રણનીતિ સફળ થઈ હોવાના આનંદથી ગદગદિત થઈ રહ્યા હતા. હવે સાહેબને કોઈ દ્વારા ખલેલ પહોંચે તે જરા પણ પસંદ ન હતું. ચેરમેન માટે સાહેબે ખાલી કરાવેલી ખુરશી પર ખુદ DySP નકુમ બેસી ગયા હતા અને સાહેબને જાણે મંદિરના ચેરમેન બનવાના અભરખા જાગ્યા હતા.
આપને જણાવી દઈએ ગોપીનાથજી મંદિરમાં દેવપક્ષને સત્તા સોંપવા માટે પોલીસે આ રીતે હસ્તક્ષેપ કર્યો છે. પરંતુ એક પોલીસ અધિકારી દ્વારા ધર્મના સ્થાનમાં આ રીતે ભય ફેલાવવાની નીતિરીતિથી અનેક હરિભક્તોની લાગણી દુભાઈ હશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, એક જવાબદાર અધિકારીના આવા નિરંકુશ વર્તન સામે ઉચ્ચ સરકાર કોઈ શિસ્તભંગના પગલાં લે છે ખરી?
DGPએ તપાસના આદેશ આપ્યા
જોકે બોટાદ DySP રાજદિપસિંહ નકુમ દાદાગીરી મામલે DGP આશિષ ભાટિયાએ તપાસના આદેશ આપ્યા છે. બોટાદ SP હર્ષદ મહેતા પાસે DGPએ રિપોર્ટ માંગ્યો છે. મંદિરમાં DySP નકુમના કાંડની તપાસના આદેશ આપ્યા છે.
ગોપીનાથજી ટ્રસ્ટમાં વિવાદ શું છે?
ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં 16 વર્ષે ચૂંટણી થઈ હતી. મે 2019માં થયેલી ચૂંટણીમાં દેવપક્ષમી જીત થઈ હતી અને આચાર્યપક્ષની હાર થઈ હતી. કુલ 7 બેઠકો પર ચૂંટણી થઈ હતી જેમાં 5 બેઠકો દેવપક્ષે જીતીને ઉલટફેર કર્યો હતો. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં સંચલાન માટે આઝાદી પહેલાથી ચૂંટણીઓ થતી આવી છે. 2003થી ગોપીનાથજી મંદિર પર આચાર્યપક્ષની સત્તા હતી અને ચૂંટણી થઈ જ ન હતી. ગોપીનાથજી મંદિરમાં ચૂંટણીનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટે નિવૃત્ત જજની નિમણૂંક કરી હતી અને ચૂંટણીના આદેશ આપ્યા હતા. આચાર્ય પક્ષ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીનું સમર્થન કરે છે. પરિણામોમાં આચાર્ય પક્ષને હરાવીને દેવ પક્ષે મંદિરનું સંચાલન સંભાળ્યું હતું. 22મી નવેમ્બરે જનરલ મિટિંગ યોજવાની હતી પરંતુ મિટિંગ થઈ ન શકી. ચેરીટી કમિશનરે જનરલ મિટિંગ માટે એજન્ડા પણ બહાર પાડ્યો હતો. ચેરીટી કમિશનરે આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો.