ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં 16 નક્સલવાદી ઠાર થયા હતા. પોલીસના કોમ્બિંગ ઓપરેશનમાં નક્સલવાદી વિભાગીય સમિતિના સદસ્ય સાઈનાથ અને સિનુનું પણ મોત થયું હતું. આ ઉપરાંત હજુ પણ પોલીસ જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓની શોધખોળની કરી રહી છે.
ગઢચિરોલીના PSI દિવટેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાચરાગઢ તાલુકાના તાડગાવ જંગલ વિસ્તારમાં પોલીસના C-60 કમાન્ડો અને CRPFના જવાનોએ નક્સલવાદીઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે તેમણે પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે દરમિયાન પોલીસે પણ બચાવમાં ફાયરિંગ કરી હતી.
PSI ના જણાવ્યા મુજબ આ અથડામણ ચાર કલાક થઇ હતી અને છેવટે નક્સલવાદી તરફથી ગોળીબાર બંધ થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને તે દરમિયાન પોલીસના કોમ્બિંગ ઓપરેશનમાં 16 નક્સલવાદી ઠાર થયા હતા જેમાં તેમના લીડરસાઈનાથ અને સિનુનો પણ સમાવેશ થાય છે.
43 વર્ષીય સિનુનું અસલી નામ વિજેન્દ્ર રાઉતે હતું. શરૂઆતમાં તે આંધ્રપ્રદેશમાં કાર્યરત હતો. 2003માં તે ગઢચિરોલી આવ્યો હતો. તેને અનેક જવાબદારી સોંપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મૃતક સિનુની પત્ની પણ નકસલવાદી હતી.
જ્યારે પેરીમિલી દલમ કમાન્ડર સાઈનાથને વિભાગીય કમિટીનો સદસ્ય બનાવવામાં આવ્યો હતો. ગઢચિરોલીમાં નકસલવાદીઓની મોટાભાગના હુમલા અને હત્યાકાંડનો તે સૂત્રધાર હતો. પોલીસની નક્સલવાદીઓની સામેની કાર્યવાહીમાં સફળતા મળતા રાજ્યના DG સતીશ માથુરે પોલીસને અભિનંદન આપ્યા હતા.
આ પહેલા પણ વર્ષ 2013માં અહેરી તાલુકામાં ગોવિંદગળી ખાતે પોલીસે છ નકસલવાદીને ઠાર કર્યા હતા અને 6 ડિસેમ્બર 2017ના રોજ સિરોંચા તાલુકાના કલ્લેડના જંગલમાં 7 નકસલવાદી માર્યા ગયા હતા.