લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયના 11 દિવસ બાદ ઉત્તર પ્રદેશમાં માયાવતી ભલે ગઠબંધનથી અલગ થવાના સંકેત આપી રહ્યાં હોય, પરંતુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હાલ આ અંગે કોઇ ટીપ્પણીથી બચી રહ્યાં છે. જો કે આઝમગઢમાં પત્રકારો દ્વારા પુછવામાં આવતાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે હવે અમે અમારી તાકાત પર ચૂંટણી લડીશું.
ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં ચૂંટણી પરિણામની સમીક્ષા બેઠકમાં બસપા પ્રમુખ માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે ગઠબંધનના કારણે તેમની પાર્ટીને જે ફાયદો થવાની આશા હતી તે પુરી થઇ નથી. જેના કારણે આગામી સમયમાં આ અંગે સમીક્ષા કરાશે. આ સાથે જ માયાવતીએ ઉત્તર પ્રદેશમાં ખાલી પડી રહેલી 11 વિધાનસભાની બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તરપ્રદેશમાં સપા બસપાના ગઠબંધન પર પૂર્ણવિરામ લાગે તેવી અટકળો સામે આવી છે. બસપાના અધ્યક્ષા માયાવતીએ પણ લોકસભા ચૂંટણી પરિણામના 12મા દિવસે સમીક્ષા બેઠક બોલાવી હતી. ત્યારે હવે ગઠબંધનના ભવિષ્ય પર પણ સવાલો ઉભા થાય છે. માયાવતીએ એવું પણ કહ્યુ કે, ગઠબંધનથી ચૂંટણીમાં ધાર્યુ પરિણામ મળ્યુ નથી.
બસપા અધ્યક્ષ માયાવતીના આ દાવા બાદ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટ કરીને સપા-બસપા પર ટિપ્પણી કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન મેં કહ્યું હતુ કે ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું ગઠબંધન ચૂંટણી બાદ તૂટી જશે. આજે પણ હું ફરી કહું છું કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં સપા બસપાનું ગઠબંધન સમાપ્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, માયાવતીએ એવું પણ કહ્યું હતુ કે, યાદવોના મત ટ્રાન્સફર થઈ શક્યા નથી. જેથી ગઠબંધનની સમીક્ષા કરાશે.
બસપા સુપ્રીમો માયાવતી માટે એવુ માનવામાં આવે છે કે વિરોધીઓ રણનીતિ બનાવવા માટે સમય લે છે ત્યારે તે પોતાનુ પગલુ ભરી આગળ વધી જાય છે. માયાવતીએ લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભામાં ખાલી પડી રહેલી 11 બેઠક માટેની પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરીને આ સાબિત કરી દીધું છે. તેણે સમાજવાદી પાર્ટીની રણનીતિ પર પાણી ફેરવી દીધું છે.