દુનિયાભરમાં દર વર્ષે મેલેરિયાની બીમારીનો ભોગ કરોડો લોકો બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ પ્રતિવર્ષ મેલેરિયાથી ચાર લાખ લોકો મોતને ભેટે છે. મેલેરિયાના મચ્છરનો ખાતમો બોલાવવામાં માનવીઓ હાંફી ગયા છે.
દુનિયાભરની અનેક પ્રકારની દવાઓના છંટકાવ પછી પણ મચ્છરના આતંક સામે આપણે જીતી શક્યા નથી. ઊલટાનું દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે મચ્છરની પ્રજાતિઓએ તેની સામે પ્રતિકારશક્તિ કેળવી લીધી છે. કેટલીક દવાઓ હવે મચ્છરને અસર જ કરતી નથી, જેના પગલે વિજ્ઞાનીઓ હવે જનીન વિજ્ઞાનનો ઉપયોગ કરીને તેનો ખાતમો કરવા માટે સંશોધન કરી રહ્યા છે.
વિખ્યાત જર્નલ સાયન્સમાં પ્રસિદ્ધ એક અહેવાલ મુજબ મેરિલેન્ડ અને બુર્કીના ફાસો યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ હવે એવી ફંગસ એટલે કે ફૂગ શોધી કાઢી છે, જે મચ્છરમાં ખાસ પ્રકારનું ટોક્સિન એટલે કે ઝેર પેદા કરે છે. વિજ્ઞાનીઓનો દાવો છે કે આ ફૂગથી મચ્છરની ૯૯ ટકા આબાદીનો સફાયો કરી દેશે. વિજ્ઞાનીઓએ મચ્છરનો બહુ ઉપદ્રવ છે તેવા પશ્ચિમ આફ્રિકાના એક ગામ જેવું વાતાવરણ ઊભું કરીને સફળ પ્રયોગ કર્યો છે. કુદરતી રીતે પેદા થતી ફૂગ મચ્છર સહિતનાં જીવજંતુઓમાં ખાસ પ્રકારના ઝેરથી ધીમે ધીમે ખાતમો બોલાવે છે. તેનો ઉપયોગ કેટલાંક જંતુનાશકમાં થઇ રહ્યો છે.
વિજ્ઞાનીઓએ જનીન વિજ્ઞાનથી આ ફૂગને હવે વધુ ઘાતક બનાવી છે, જે મચ્છર બ્રીડિંગ કરીને નવી સંતતિને જન્મ આપે તે પહેલાં ઝડપથી મારી નાખશે. વિજ્ઞાનીઓએ આ ફૂગને એક ખાસ પ્રકારની શીટમાં લગાવીને તેને મચ્છરના ઉપદ્રવવાળી જગ્યામાં રાખી હતી. ૪પ દિવસના ગાળામાં આ જગ્યા પરથી મચ્છર નામશેષ થઇ ગયા હતા, તેમાં એવા મચ્છર પણ હતા, જે વિવિધ પ્રકારના જંતુનાશકને ગાંઠે નહીં તેવા તાકતવર બની ગયા હતા.
ફૂગના ડીએનએમાં ફેરફાર કરીને તેની નવી પ્રજાતિ બનાવી છે. તેની વિશેષતા એ છે કે તેના કોષની આસપાસ એવી રક્ષણાત્મક દીવાલ હોય છે, જેથી આ ફૂગના ઝેરથી લાંબા ગાળે મચ્છર પ્રતિકારશકિત કેળવી ન શકે, કેમ કે તેમ ન થાય તો મચ્છર ફૂગના ઝેર સામે પણ પ્રતિકારશકિત મેળવી લે તો આ શસ્ત્ર પણ સમય જતાં મચ્છર સામે બૂઠું બની જાય. વિજ્ઞાનીઓએ ખાસ જિનેટિકલી ડિઝાઇન કરેલી ફૂગની ખાસિયત એ છે કે મચ્છરના ડીએનએને આળખીને તેના શરીરમાં જ ચોક્કસ કેમિકલ છોડે છે. તેથી તે મધમાખી સહિત માનવી અને પર્યાવરણ માટે ઉપયોગી અન્ય જીવજંતુઓને હાનિ પહોંચાડતી નથી.
લેબ ટેસ્ટમાં વિજ્ઞાનીઓએ જે માદા મચ્છરને ફૂગનો ચેપ લગાવ્યો તેણે માત્ર ર૬ ઇંડાં મૂક્યાં અને તેમાંથી માત્ર ચાર જ મચ્છર પેદા થયાં. જ્યારે સામાન્ય માદા મચ્છરે ૧૩૯ ઇંડાં મૂક્યાં અને તેમાંથી ૭૪ મચ્છર પેદા થયા. ફૂગની અસરથી મચ્છરની પ્રજનનશક્તિ પર જબરદસ્ત અસર જોવા મળી હતી. વિજ્ઞાનીઓ કહે છે કે મચ્છરના ખાતમા માટે કાળા કોટનના કપડાની શીટ પર થોડું તલનું તેલ અને ફૂગ લગાવીને રાખવાની જરૂર રહે છે, જે તમામ સ્થળે આસાનીથી ઉપલબ્ધ હોવા ઉપરાંત આ ઉપાય એકદમ સસ્તો છે.
વિજ્ઞાનીઓ હવે મચ્છરોનો જ્યાં વ્યાપક ઉપદ્રવ છે તેવા આફ્રિકાના ગામ કે વિસ્તારમાં કરવા માગે છે. મચ્છરોને ધીમે ધીમે ખતમ કરવાનો આ એક નિર્દોષ અને અસરકારક ઉપાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દશકામાં દુનિયાભરમાં મેલેરિયાના મચ્છરને મારવા અનેક પ્રકારની લાખો ટન દવાનો છંટકાવ કરાયો છે, જેનાથી પર્યાવરણને ગંભીર નુકસાન થવા ઉપરાંત માનવીના સ્વાસ્થ્યને પણ ભારે હાનિ પહોંચાડી છે, છતાં મચ્છર સામેના જંગમાં આપણે અત્યાર સુધી હારતા આવ્યા છીએ. મચ્છર માટેની જાણીતી ડીડીટી પર તો દુનિયાના મોટા ભાગના દેશોમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે ત્યારે હવે આ નવા સંશોધને આશા જગાવી છે.