જમ્મૂ-કશ્મીરમાં સેનાની જીપને અકસ્માત નડતા ચાર જવાનોના મોત થયા હતા. જેમાં એક ભાવનગરનો જવાન પણ સામેલ હતો. મળતી માહિતી પ્રમાણે, બરફમાં જવાનોની જીપ સ્લીપ થતા ખીણમાં ખાબકી હતી. જેમાં દિલીપસિંહ ડોડિયા સહિત ચાર જવાનો શહીદ થયા હતા. ત્યારે જવાન દિલીપસિંહના પાર્થિવદેહને વતન લવાયો હતો.
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામમાં આર્મી જવાન દિલીપસિંહ ડોડિયાનું જમ્મુ-કાશ્મીરમાં કાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આજે તેમના પાર્થિવદેહને તેમન વતન કાનપર ગામમાં લવાયો હતો. ત્યારે આ દરમિયાન સમગ્ર ગામ શોકમય બની ગયું હતું. ગ્રામજનોની આંખમાંથી આંસૂ સરી પડ્યા હતા.
વીર શહીદ જવાન અમર રહો અને ભારત માતા કી જયના નારાથી સમગ્ર ગામ ગૂંજી ઉઠ્યું હતું. જવાનની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. તો શહીદ જવાનના પત્નીના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ દરમિયાન કારડિયા સમાજના અગ્રણી, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ, પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમાર, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા પહોંચ્યા હતા. તો જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન સહિતના નેતાઓએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.