સ્વયંવર એટલે પોતાની મરજીથી લગ્ન એ કોઈ આધુનિક ઘટના નથી. તેના મૂળ પ્રાચીન ઇતિહાસમાં શોધી શકાય છે, જેમાં રામાયણ, મહાભારત જેવા પવિત્ર ગ્રંથોનો સમાવેશ થાય છે. - હાઇકોર્ટ
પસંદગી મુજબ લગ્ન કરવા એ કોઈ આધુનિક ઘટના નથી
હાઇકોર્ટે આપ્યું પ્રાચીન ગ્રંથોનું ઉદાહરણ
રાજ્યને વિવાહિત યુગલના જીવનમાં દખલ કરવાનો અધિકાર નથી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ગયા અઠવાડિયે કહ્યું હતું કે 'સ્વયંવર અથવા પસંદગી મુજબ લગ્ન કરવા એ કોઈ આધુનિક ઘટના નથી અને તેના મૂળ પ્રાચીન ઈતિહાસમાં શોધી શકાય છે જેમાં રામાયણ અને મહાભારત જેવા પવિત્ર પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.' જસ્ટિસ જગમોહન બંસલની બેંચે કહ્યું કે કલમ 21 એ માનવ અધિકારને મૂળભૂત અધિકાર તરીકે લાગુ કરે છે.' આમ કહેતા એમને બાળકીના અપહરણ માટે આરોપી વ્યક્તિ સામે નોંધાયેલી એફઆઈઆરને રદ્દ કરી હતી. નોંધનીય છે કે શ્રી મુક્તસર સાહિબ પોલીસે 18 જાન્યુઆરી, 2019 ના રોજ અરજદાર પર IPCની કલમ 363 અને 366-A હેઠળ ગુનો નોંધ્યો હતો.
જસ્ટિસ જગમોહન બંસલની બેંચે અરજીકર્તાની દલીલને સ્વીકારતા કહ્યું કે, 'ભારતીય સંસ્કૃતિમાં, જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના, લગ્ન એ કોઈ કરાર નથી પણ તે બે પરિવારો વચ્ચેનું પવિત્ર બંધન છે. તે વિજાતીય બે વ્યક્તિઓનું શારીરિક મિલન નથી પણ તે આપણા સમાજની સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સંસ્થા છે જ્યાં બે પરિવારો એક બને છે. લગ્નના મહત્વને એ હકીકત દ્વારા વધુ સમર્થન મળે છે કે લગ્ન કર્યા વિનાના દંપતીના જન્મેલા બાળકને યોગ્ય રીતે પરિણીત યુગલના બાળક તરીકે માન્યતા આપવામાં આવતી નથી.'
હાઇકોર્ટે પ્રાચીન ગ્રંથોનું ઉદાહરણ આપ્યું
રિપોર્ટ અનુસાર હાઈકોર્ટે પ્રાચીન ગ્રંથોને ટાંકીને કહ્યું કે, 'સ્વયંવર એટલે પોતાની મરજીથી લગ્ન એ કોઈ આધુનિક ઘટના નથી. તેના મૂળ પ્રાચીન ઇતિહાસમાં શોધી શકાય છે, જેમાં રામાયણ, મહાભારત જેવા પવિત્ર ગ્રંથોનો સમાવેશ થાય છે. આપણું બંધારણ અનુચ્છેદ 21ના સંદર્ભમાં આ માનવ અધિકારને મૂળભૂત અધિકાર તરીકે લાગુ કરે છે. જસ્ટિસ બંસલે વધુમાં કહ્યું હતું કે, 'કાયદાનો ઉદ્દેશ્ય - પછી ભલે તે રૂઢિગત હોય, ધાર્મિક હોય કે ધારાસભા દ્વારા બનાવવામાં આવે - દરેક મનુષ્યના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાનો છે. કાયદાનો ઉદ્દેશ્ય કોઈના દોષ વિના કોઈના સ્થાપિત જીવનને ખલેલ પહોંચાડવાનો નથી. એક માણસને ગુનો કરવા બદલ સજા થઈ શકે છે, જો કે, તેને માત્ર એટલા માટે સજા કરી શકાય નહીં કારણ કે અન્ય કોઈને તેનું કૃત્ય ગમતું નથી.'
રાજ્યને વિવાહિત યુગલના જીવનમાં દખલ કરવાનો અધિકાર નથી
કોર્ટે અવલોકન કર્યું કે બંને પક્ષો પુખ્ત છે અને તેઓએ તેમના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા છે અને તેઓ ખુશીથી સાથે રહે છે. તેથી અદાલતો અને કાયદા અમલીકરણ એજન્સીઓ સહિત કોઈને પણ તેમના કોઈ દોષ વિના તેમના જીવનને ખલેલ પહોંચાડવાનો અધિકાર નથી. બેન્ચે જણાવ્યું હતું કે,"તેમને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર છે. તેઓને બે બાળકો છે. કોઈ પણ ગુનાહિત કેસ પેન્ડિંગ હોવાને કારણે સુખી જીવન જીવી શકે નહીં. રાજ્યને વિવાહિત યુગલના જીવનમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. "