કોરોનાના કારણે લગ્નો અને તહેવારોનો સોથ વળી જ ગયો છે પણ હવે તો એવો ભય ઊભો થયો છે કે પરીક્ષાર્થીને શુભકામના આપવાનો આપણો રિવાજ પણ આઇસોલેટ થઇ જાય.
-ફન દા'મેન્ટલ (પરાગ દવે )
જેમ વિદ્યાર્થીઓ પરીક્ષા પૂરી થાય તેની રાહ જોતાં હોય છે એ જ રીતે પરીક્ષા અગાઉ શુભેચ્છાઓ આપવાના આગ્રહી લોકો પરીક્ષા શરૂ થવાની રાહ જુએ છે. પણ માસ પ્રમોશનના કારણે સમાજના એ આખા વર્ગનું અસ્તિત્વ જ ભયમાં મૂકાયું છે. પરીક્ષા જ ના હોય તો પરીક્ષાર્થી પણ ના રહે અને પરીક્ષાર્થી ના હોય તો તેને શુભકામના આપનારાનું શું થશે એ વિચારે કેટલાયના જીવ તાળવે ચોંટી ગયા છે.
માસ પ્રમોશનના ફાયદા અને નુકસાન વિશે અનેક વિદ્વાનો ચર્ચા કરી રહ્યા છે પણ આપણા રામણકાકા માને છે કે પરીક્ષા અગાઉ શુભેચ્છાઓ આપવા જવાનું બંધ થશે એ આ માસ પ્રમોશન નો સૌથી મોટો ગેરલાભ છે. રમણકાકા પહેલેથી માને છે કે કોઇના લગ્નમાં જવાં કરતાં પરીક્ષા પહેલાં શુભકામના આપવા જવું વધારે સારું છે, કારણ કે લગ્નમાં ચાંદલો કર્યાં બાદ પણ માત્ર આશીર્વાદ આપવાની તક મળે છે, જ્યારે પરીક્ષા વખતે મોટી રકમના ચાંદલાના બદલે માત્ર એક પેન આપીને એકાદ કલાક સુધી સલાહો આપવાનું સુખ મળે છે.
માસ પ્રમોશનના સમાચાર સાંભળ્યાં બાદ રમણકાકાને તરત જ પરેશભાઇનો દીકરો તેજસ્વી યાદ આવી ગયો. ગયા વર્ષે એ ત્રીજી વખત 12ની પરીક્ષા આપવા જાય એ પહેલાં રમણકાકા તેને આશીર્વાદ આપવા ગયા ત્યારે તેજસ્વી એમના પગમાં આળોટ્યો હતો અને કહ્યું હતું કે, “વડીલોના આશીર્વાદ સિવાય પાસ થવાય એમ લાગતું નથી.”
કાકાએ એને હિંમત આપવા કહ્યું કે, “પેપરમાં જે સવાલ આવડતાં હોય એનાં જવાબ સૌથી પહેલાં લખવા…!”
“પરીક્ષામાં શું કરવું અને શું ના કરવું એ વિશે મારો અનુભવ તમારા બધાં કરતાં વધારે છે એટલે મહેરબાની કરીને મને સલાહ નહીં, આશીર્વાદ જ આપો. ગયા વખતે એક પેપરમાં નવા-સવા સુપરવાઇઝર હતાં તો એક-બે પ્રોસિજર તો મેં એમને સમજાવી હતી. આ વખતે તો મારી રિસિપ્ટ આવી એની સાથે જ બોર્ડવાળાએ એક પત્ર પણ લખ્યો છે અને મને પર્સનલી એવી સૂચના મોકલી છે કે સતત ત્રણ વર્ષથી રિસિપ્ટ માટે એકનો એક ફોટો મોકલો છો એ આવતા વખતે બદલજો, અને જો મા-બાપ માને તો તમારું નામ પણ બદલજો.” તેજસ્વીએ કાકાને કહ્યું.
“હા બેટા, આવતા વર્ષે પણ હું તને શુભેચ્છા આપવા જરૂર આવીશ,” એમ કહીને રમણકાકાએ વિદાય લીધી હતી.
પરીક્ષા વખતે મળવા આવનારાં લોકોમાં એવા લોકોની બહુમતિ છે, જેમના સંતાનોએ બોર્ડની પરીક્ષા સારાં દેખાવ સાથે પાસ કરી હોય. મોટાભાગે તેમને સદર પરીક્ષાર્થીની તૈયારીઓ કે તેના ભાવિ સપનાં સાથે કોઇ લેવાદેવાં હોતી નથી પણ તેમને પોતાના સંતાનના વખાણ કરવાનાં જ ધખારાં હોય છે. તેઓ વિદ્યાર્થીને પેન અને આશીર્વાદ આપ્યાં બાદ તરત જ વાત ચાલુ કરે છે કે, “અમારા ચિન્ટુને તો ગણિતના પેપરમાં વખતે જ 102 તાવ હતો પણ તોય એ 99 માર્ક ખેંચી લાવ્યો હતો.”ટોઇંગ વાન વાળા કે બેન્કના રિકવરી એજન્ટ જેમ લોકોના વાહન ખેંચી જાય એમ માર્ક પણ ખેંચી શકાય એ સાંભળીને પરીક્ષાર્થીને આશ્ચર્ય થાય છે અને એ પૂછી બેસે છે કે, “માર્ક ક્યાંથી ખેંચી શકાય એ વિશે મને પણ માહિતી આપો...”
“મહેનત, બેટા, મહેનત. એ ઊંઘમાં પણ સાઇનથિટા કોસથિટા બોલતો...”
“મારે તો થિટા સાથે કિટ્ટા હોય એવું છે.”
“તો તારું જીવન વ્યર્થ ગયું કહેવાશે, અમારો ચિન્ટુ તો કાયમ કહે કે થિટાના રોકડાં માર્ક તો ગુમાવાય જ નહીં.”
“જો થિટાના માર્કને રોકડાં કહેવાય તો મુશ્કેલ શું કહેવાય?”
“સિલેક્શન. ચિન્ટુને પેપરમાં બધાં સવાલ આવડતા તેથી કયો સવાલ પહેલાં લેવો એનું સિલેક્શન જ એને મુશ્કેલ લાગતું.”
“હું ચિન્ટુ નથી પિન્ટુ છું. તમે મને આશીર્વાદ આપવા આવ્યાં છો કે ચિન્ટુની વાતો કરવા આવ્યાં છો?” કહીને પરીક્ષાર્થી લઘુતાગ્રંથિથી રડવા લાગે છે ત્યારે જ એ વડીલને શાંતિ મળે છે.