રાજ્યભરમાં હાલ પાણીનો પોકાર થયો છે તો બીજી તરફ અનેક જળ સ્ત્રોત સુકાઈ ચુક્યાં છે ત્યારે પંચમહાલ જીલ્લાનું એક એવું ગામ છે કે જ્યાં આજે પણ નથી સુકાયો પાણીનો સ્ત્રોત. એક એવો સ્ત્રોત કે જેને ગ્રામજનો પૂજે છે, એક એવો સ્ત્રોત કે જેને ગામનાં તમામ શુભ પ્રસંગોએ પ્રથમ યાદ કરવામાં આવે છે. એક એવો જળ સ્ત્રોત કે જેનો ગ્રામજનો કરે છે માત્ર પીવાનાં પાણી માટે જ ઉપયોગ. તો એવું કયું ગામ છે તે જોઈએ અહીં ખાસ અહેવાલમાં.
ઉનાળો તેની ચરમ સીમા પર છે અને કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં લગભગ તમામ પાણીનાં સ્ત્રોત સુકાવા માંડ્યા છે અને ઠેર-ઠેર પાણીનાં પોકાર પડી રહ્યાં છે. એક તરફ આધુનિક યાંત્રિક પદ્ધતિથી પ્રજાને પાણી પૂરું પાડવામાં સરકાર યેન કેન પ્રયત્ન કરવા છતાં પાણીની સમસ્યાનો હલ આવતો દેખાતો નથી અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે હજારો વર્ષો પહેલાનાં પાણીનાં સ્ત્રોત હજુ અડીખમ રીતે જાણે આજનાં ડિજિટલ યુગને પડકાર ફેંકી રહ્યાં હોય એવું લાગે છે.
હવે અમે તમને જણાવી જ દઈએ કે હજારો વર્ષ પહેલાં નિર્માણ પામેલાં એવા કયાં પાણીનાં સ્ત્રોત છે. જે આજે પણ ડિજિટલ યુગને ચેલેન્જ આપી રહ્યાં છે અને તરસ્યાની તરસ છિપાવી રહ્યાં છે? ગોધરા તાલુકાનાં કબીરપુર ગામે આવેલી એક ઐતિહાસિક વાવ છે કે જે ભર ઉનાળે પણ છલોછલ છે. વર્ષો પહેલા બનાવાયેલ વાવ કે જેની બનાવટની કોતરણી અને ડિઝાઇન આજના જમાનાને વિચારતા તો કરી મૂકે છે પણ સાથે સાથે કહેવાય છે કે આ વાવ સાત સાત દુકાળ સહન કરવા છતાં તેનું પાણી સુકાવા દેતી નથી. એટલું જ નહીં આ છલોછલ વાવ આસપાસનાં 20 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે.
પંચમહાલ જીલ્લાનાં ગોધરા તાલુકાનાં કબીરપુર ગામમાં આવેલ આ પૌરાણિક વાવનાં પાણીનો ઉપયોગ આ ગામનાં તમામ ગ્રામજનો માત્ર પીવાનાં પાણી માટે જ કરે છે. અન્ય વપરાશમાં આ વાવનાં પાણીને ગ્રામજનો દ્વારા ઉપયોગ કરવામાં આવતો નથી. દરરોજ સવારે આ વાવ પર ગામની મહિલાઓ સહિત તમામ લોકો પાણી ભરવા માટે આવે છે.
ગામમાં શુભ પ્રસંગે વાવને અપાય છે ખાસ નિમંત્રણ !
આ વાવ અને તેનાં પાણીને પવિત્ર માનતા ગ્રામજનો દ્વારા તેમના ગામમાં કોઈ પણ શુભ પ્રસંગે પ્રથમ આ વાવને યાદ કરવાનું ચૂકતાં નથી. લગ્ન પ્રસંગ, વાસ્તુ પૂજન સહિતનાં તમામ શુભ પ્રસંગોએ પ્રથમ નિમંત્રણ આ વાવ પર મુકવામાં આવે છે અને બાદમાં જ અન્ય લોકોને નિમંત્રણ પાઠવવામાં આવે છે. ગ્રામજનો દ્વારા સ્વયં આ વાવ પર સ્વચ્છતા બાબતને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
પંચમહાલ જીલ્લાનાં કબીરપુર ખાતે આવેલી આ ઐતિહાસિક વાવને લઈને સ્થાનિકોમાં તો જાગૃતિ છે જ પણ તંત્ર દ્વારા આ વાવનાં વિકાસ માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા આ વાવનાં વિકાસ અને જાળવણી માટે કાર્યવાહી કરવામાં આવે તો આ વાવનાં પાણી દ્વારા અન્ય ગામોની તરસને પણ છીપાવી શકાય તેમ છે.