ભારતની આઝાદી પછી હૈદરાબાદના ૭માં નિઝામની સંપત્તિને લઇને બ્રિટનની અદાલતમાં ચાલી રહેલા કેસમાં ભારતની જીત થઇ છે. અદાલતે પાકિસ્તાનનો ૭માં નિઝામણી ૩.૫ કરોડ પાઉન્ડની રકમ ઉપર કરેલો દાવો રદબાતલ કરી દીધો છે. તો આખો મામલો સમજવા માટે એ સમજવું જરુરી છે કે ૭માં નિઝામ કોણ હતા, તેઓ કેટલી સંપત્તિ ધરાવતા હતા, આ રકમ બ્રિટન સુધી કેવી રીતે પહોચી અને પાકિસ્તાને કેમ દાવો માંડ્યો?
મીર ઓસમાન અલી ખાન; હૈદરાબાદના ૭માં નિઝામ
મીર ઓસમાન અલી ખાન હૈદરાબાદ રજવાડાના ૭માં નિઝામ અને છેલ્લા શાસક હતા. તેમણે ૧૯૧૧ થી ૧૯૪૮ સુધી શાસન કર્યું ત્યારબાદ હૈદરાબાદ ભારતનો હિસ્સો બની ગયું. તેઓ તેમના રાજ્યમાં શિક્ષણ, વિજ્ઞાન અને વિકાસ ઉપર ભાર મુક્યો હતો. ૧૯૪૭માં ભારતની આઝાદી પછી નિઝામ ભારતમાં જોડાવવા ઈચ્છતા નહોતા અને હૈદરાબાદને સ્વતંત્ર રાખવા માંગતા હતા. ભારતે મીલીટરી એક્શન્સ લઇને ૧૯૪૮માં હૈદરાબાદને ભારતનો ભાગ બનાવ્યું અને મીર ઓસમાન અલી ખાન શરણે થયા.
તે સમયના વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા
૨૨ ફેબ્રુઆરી ૧૯૩૭માં નિઝામને ટાઈમ મેગેઝીને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ તરીકે જાહેર કર્યા હતા. જાણકારોના મતે ભારતનાં અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ વ્યક્તિ આટલી સંપત્તિ ધરાવતી નહોતી.
તેઓ ૧૮૫ કેરેટના જેકોબ ડાયમંડનો ઉપયોગ પેપરવેઇટ તરીકે કરતા. આ ડાયમંડની હાલની કિંમત હજારો કરોડમાં મનાય છે. તેમના સમયમાં તેઓ USAના ૨% અર્થતંત્ર જેટલી સંપત્તિ ધરાવતા હતા. દિલ્હીમાં નિઝામના ૧૭૩ ઘરેણાંઓ એકઝીબિશનમાં મુકાયેલા છે.
૧૯૪૭માં નિઝામે બ્રિટનની રાણી એલીઝાબેથને આપેલું નેકલેસ આજે પણ બ્રિટનના શાહી પરિવારની વહુ કેટ મિડલ્ટન દ્વારા પહેરવામાં આવે છે.
શું હતો વિવાદ?
૨૦ સપ્ટેમ્બર ૧૯૪૮માં નિઝામના નાણામંત્રી નવાબ મોઈન નવાઝ જંગે ૧૦ લાખ પાઉન્ડ જેટલી રકમ એક બેન્કમાંથી લંડન આવેલી એક બીજી બેંકમાં ટ્રાન્સફર કર્યા. આ ટ્રાન્સફર સમયે બેંકમાં એકાઉન્ટનું સંચાલન હબીબ ઈબ્રાહીમ રહીમ્તુલ્લા કરી રહ્યા હતા. આ એ જ સમય હતો જયારે હૈદરાબાદ રજવાડાની ભારતમાં વિલયની પ્રક્રિયા ચાલી રહી હતી.
આ રકમ ઉપર પાકિસ્તાને કર્યો દાવો
પાકિસ્તાને આ રકમ ઉપર પોતાનો દાવો કરતા જણાવ્યું હતું કે હૈદરાબાદ રજવાડાએ આ રકમ પાકિસ્તાનને આપવાનો વાયદો કર્યો હતો. તેઓ પાકિસ્તાન પાસેથી શસ્ત્રોની અપેક્ષા રાખતા હતા જેથી હૈદરાબાદ રજવાડું સ્વતંત્ર અને સુરક્ષિત રહી શકે. ૭માં નિઝામના પૌત્ર મુકરમ જાહે આ દાવો ફગાવી દેતા જણાવ્યું હતું કે ૨૪ એપ્રિલ ૧૯૬૩માં તેમના દાદાએ આ રકમ તેમણે સ્થાપિત કરેલા એક ટ્રસ્ટને દાન કરી છે.
૧૯૫૪થી રકમ ફ્રીઝ થઇ ગઈ
૮ જુલાઈ ૧૯૫૪માં હૈદરાબાદના ૭માં નિઝામે આ રકમ ઉપરના પાકિસ્તાનના દાવા સામે કેસ દાખલ કર્યો. પાકિસ્તાનનો આક્ષેપ હતો કે બ્રિટીશ કોર્ટ તેમની સાથે પક્ષપાત કરી રહ્યા છે. ત્યારથી આ રકમ બ્રિટીશ બેંકમાં ફ્રીઝ થઇ ગઈ છે અને ૭ દાયકામાં વધીને તેમનું મુલ્ય ૩૦૬ કરોડ થઇ ચુક્યું છે. આ રકમને “હૈદરાબાદ ફંડ” તરીકે ઓળખવામાં આવે છે.
ભારતે પણ પોતાનો દાવો કર્યો
શરૂઆતમાં આ વિવાદ મીર ઓસમાન અલી ખાન અને પાકિસ્તાનની વચ્ચેનો હતો પરંતુ ૧૯૬૫માં ભારતે પણ આ રકમ ઉપર દાવો કર્યો કારણ કે હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ થઇ ચુક્યું હતું.
હરીશ સાલ્વેનો પાકિસ્તાન સામે સતત બીજો વિજય
ભારતના હાઈ પ્રોફાઈલ વકીલ હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવ કેસમાં અંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતને જીત અપાવી હતી. તેમણે જ આ કેસમાં ભારતના મુખ્ય પક્ષકાર તરીકે હૈદરાબાદ ફંડ કેસ લડીને ભારતને જીત અપાવી હતી.
અહી ઉલ્લેખનીય છે કે બંને કેસમાં ભારત ઉપરાંત પાકિસ્તાનના વકીલ પણ એક જ હતા(ખાવર કુરેશી).
પાકિસ્તાને પોતાની હરકત સ્વીકારી
હરીશ સાલ્વેએ ફક્ત ૩ મહિનામાં ૧૪૦ પાન લાંબો ચુકાદો તૈયાર કરનાર ન્યાયાધીશ માર્કસ સ્મિથની પ્રશંસા કરી હતી. સાલ્વેએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આ કેસ જીતવા એવું સ્વીકાર્યું છે કે તેઓ એ સમયે ભારત વિરોધી નીતિ તરીકે શસ્ત્રોનો સંગ્રહ કરી રહ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આ ચુકાદાનું ધ્યાનપૂર્વક અધ્યયન કરી રહ્યું છે અને આ ચુકાદા વિરુદ્ધમાં ઉપલી અદાલતમાં જઈ શકે છે.