ગરવા ગીરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ 15 તારીખ થઇ રહ્યો છે જેના ભાગ રૂપે તળેટીમાં તૈયારીઓ શરુ થઇ ગઈ છે સાધુ સંતો અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ થશે
જુનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીનો મેળો આગામી તારીખ 15 ફેબ્રુઆરી મહાવદ નોમના દિવસે શરુ થઇ રહ્યો છે જેમાં ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ થશે. જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં દૂર-દૂરથી સાધુઓનું આગમન થઇ રહ્યું છે અને જય ગિરનારીના નાદ સાથે ધુણા બનાવી શિવ ભક્તિ કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે
જુદી જુદી 13 સમિતિની તૈયારીઓ
મહાશિવરાત્રીના મેળાની તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર કામે લાગી ગયું છે આ વર્ષે શિવરાત્રીનો મેળો ભવ્યથીભવ્ય ઉજવાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેળો ભવ્ય રીતે ઉજવાય તેના માટે તંત્ર દ્વારા રોજની રોજ બેઠકોનો દોર ચલાવે છે અને દરેકને સોંપાયેલી જવાબદારીની માહિતીઓ આપવામાં આવે છે આ કામગીરી માટે જુદી જુદી 13 સમિતિની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ભવનાથ ખાતે મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા ભવનાથ તળેટીમાં સફાઈ કામગીરી શરુ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વેક્સિનેશન કેમ્પ બનાવવામાં આવ્યા છે. તેમજ પી.જી.વી.સી.એલ. અને અન્ય વિભાગો દ્વારા પણ તડામાર તૈયારીઓનો શરૂ કરી દેવામાં આવી છે.
મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડશે
છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લઈ મહાશિવરાત્રીનો મેળો જાહેર જનતા માટે બંધ રાખવાની ફરજ પડી હતી ત્યારે આ વર્ષે શિવરાત્રીના મેળાની મંજુરી જાહેર જનતા માટે થતાં ભાવિ ભક્તોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે ત્યારે વર્ષોથી ભાવ અને શ્રદ્ધાથી મેળામાં માનવમહેરામણ ઉમટી પડતું હોય છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડશે તેવું પણ લાગી રહ્યું છે