અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ કસ્ટમના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોષે એરપોર્ટ ડિરેક્ટરને પત્ર લખીને અમદાવાદ એરપોર્ટ પર સીસીટીવી કેમેરા વધારવા માંગ કરી છે. તેમજ એક વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી 24.80 કરોડના સોનાની દાણચોરી રોકવામાં આવી છે.
છેલ્લા 10 વર્ષથી સોના પર લાગતી કસ્ટમ ડ્યૂટીમાં કોઈ રાહત આપવામાં આવી નથી. ત્યારે દર વર્ષે સતત અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે માર્ચ 2019 થી અત્યાર સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગના 97 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 70.103 કરોડના દાણચોરીના સોનાને સિઝ કરવામાં આવ્યું છે. તો આ સાથે સુરત એરપોર્ટ પર દાણચોરીના 16 કેસ કરવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર દાણચોરો શરીરના ગુદામાં સોનું છુપાવીને લાવતા હોવાના પણ કેસો કરવામાં આવ્યા છે.
સોના સહિત અન્ય ચીજવસ્તુઓની દાણચોરી રોકવા કસ્ટમ વિભાગ સક્રિય
સોના સહિત અન્ય ચીજવસ્તુઓની દાણચોરી રોકવા માટે કસ્ટમ વિભાગની ટીમ એરપોર્ટ સિવાય ICD ખોડિયાર ડેપો તેમજ એર કાર્ગોમાં પણ દાણચોરીના કેસો કરવામાં આવ્યા છે. આઈસીડી ખોડિયાર ડેપોમાં સરકાર તરફથી ડ્રો બેક મેળવતા 2 વેપારીઓ પર 1 કરોડનો કેસ કરવામાં આવ્યો છે.
તેમજ એરકાર્ગોમાં 4.5 કરોડની ટીશર્ટની મૂળ કિંમત કરતા વધારે કિંમત બતાવીને સરકાર સાથે 22 લાખની છેતરપીંડી કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આવા કેસોને રોકવા માટે અમદાવાદ કસ્ટમ વિભાગ દ્વારા 40 લાખની કિંમતના એક્સરે મશીનની માંગ કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી છે.
એરપોર્ટ પર હાલ 170 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા
અમદાવાદ એરપોર્ટ પર હાલ 170 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. જો કે મોટાભાગના કેસોમાં એરપોર્ટના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફની દાણચોરો સાથેની મિલિભગત હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ મિલિભગતનો પર્દાફાસ કરવા એરપોર્ટ પર વધુ 30 સીસીટીવી કેમેરા એરોબ્રિજ તેમજ કસ્ટમ એરિયામાં લગાવવા જરૂરી હોવાનું કસ્ટમના પ્રિન્સિપાલ માની રહ્યા છે.