કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે હવે વિવિધ સ્તરે VVIP કલ્ચરને ખતમ કરવાના PM મોદીના અભિગમ હેઠળ નિર્ણય લીધો
રેલવે મંત્રાલયમાં હવે VIP કલ્ચર નહીં જોવા મળે
ઓફિસમાંથી એટેન્ડન્ટને બોલાવતી બેલ દૂર કરાશે
મંત્રીએ પહેલા પોતાની ઓફિસમાંથી બેલ હટાવી
એટેન્ડન્ટને બોલાવવા માટે સ્ટાફ મેમ્બરે પોતે બહાર જઈને તેને બોલાવવો પડશે
ભારતીય રેલવે મંત્રાલયમાં હવે VIP કલ્ચર નહીં જોવા મળે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે હવે વિવિધ સ્તરે VVIP કલ્ચરને ખતમ કરવાના PM મોદીના અભિગમ હેઠળ નિર્ણય લીધો છે. વૈષ્ણવે તેમના સ્ટાફને ઓફિસમાંથી એટેન્ડન્ટને બોલાવતી બેલ દૂર કરવા કહ્યું છે.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે, એટેન્ડન્ટને બોલાવવા માટે બેલનો ઉપયોગ ન કરવો જોઈએ, તેના બદલે અધિકારીઓએ એટેન્ડન્ટને વ્યક્તિગત રીતે બોલાવવા જોઈએ. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર,આદેશનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવા માટે રેલ્વે મંત્રીએ સૌથી પહેલા પોતાની ઓફિસમાંથી બેલ હટાવી દીધી છે. સૂત્રોનું માનીએ તો હવે એટેન્ડન્ટને બોલાવવા માટે સ્ટાફ મેમ્બરે પોતે બહાર જઈને તેને બોલાવવો પડશે.
દરેક સભ્યને સમાન સન્માન મળે તે માટે કવાયત
અશ્વિની વૈષ્ણવના કાર્યાલય વતી કહેવામાં આવ્યું હતું કે, દરેક સભ્યને સમાન સન્માન મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ VVIP કલ્ચરને ખતમ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રેલ્વે મંત્રી એ પણ ઈચ્છે છે કે દરેક કર્મચારી પોતાની પૂરી ક્ષમતા સાથે રેલ્વેને પુરી ઝડપે ચલાવે. આ ત્યારે જ શક્ય છે જ્યારે વીવીઆઈપી કલ્ચર સંપૂર્ણપણે નાબૂદ થાય.
નોંધનીય છે કે, આ પહેલા પણ રેલ્વે મંત્રીએ ઓફિસના વર્ક કલ્ચરને બદલવા અને અધિકારીઓ અને સ્ટાફના સભ્યો વચ્ચે વધુ સારી વાતચીત કરવા માટે આવા ઘણા નિર્ણયો લીધા છે. રેલવે મંત્રીના આ નિર્ણય બાદ હવે કોલિંગ બેલથી મુક્ત થશે.