ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં હવે સોનાની દાણચોરીને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રીલંકાની સરકાર હવે સોનાની દાણચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. શ્રીલંકામાં હવાઈ મુસાફરોના રૂપમાં પ્લેનમાં બેસીને મોટા પાયે સોનાની દાણચોરી થઈ રહી છે. તેને જોતા શ્રીલંકાની સરકારે હવે કસ્ટમ વિભાગને સોનાની દાણચોરી રોકવા માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આયાત અને નિકાસ નિયંત્રકની પરવાનગી વિના કોઈને પણ 22 કેરેટથી વધુ સોનાના આભૂષણો પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
શ્રીલંકાની સરકારે આ નિર્ણય એવા લોકો વિરુદ્ધ આપ્યો છે જેઓ ગેરકાયદેસર વેપાર દ્વારા સોનાની દાણચોરી કરવામાં સફળ થાય છે. નાણા રાજ્ય મંત્રી રંજીથ સિયામબલાપીતીયાએ 26 નવેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે ગેરકાયદેસર વેપાર દ્વારા બિનજરૂરી માત્રામાં સોનાના આભૂષણો પહેરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સોનાની દાણચોરીના કિસ્સા વધી રહ્યા હોઇ સરકારે હવે નિર્ણય લીધો છે કે, હવે કોઈને 22 કેરેટથી વધુ સોનું પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આદેશ અનુસાર હવેથી 22 કેરેટથી વધુ સોનું લઈ જવા માટે આયાત અને નિકાસ નિયંત્રકની પરવાનગી લેવી પડશે.
આ સાથે શ્રીલંકાની સરકારે કસ્ટમ અધિકારીઓને 22 કેરેટથી વધુ સોનું શોધવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. આ અંગે ગેઝેટ પણ બહાર પાડવામાં આવશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, દેશમાં દરરોજ 50 કિલોથી વધુ સોનાની દાણચોરી થઈ રહી છે. આ અનૈતિક રેકેટથી દેશના રાષ્ટ્રીય તિજોરીને 30 મિલિયન યુએસ ડોલરથી વધુનું માસિક નુકસાન થઈ રહ્યું છે.