મુસાફરોને એરપોર્ટ પર તેમના ચહેરાથી ઓળખવામાં આવશે અને તેઓ ડિજી-યાત્રા મોબાઈલ એપ દ્વારા એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી કરી શકશે.
હવેથી એરપોર્ટ્સ પર નહીં બગડે મુસાફરોનો સમય!
ફરજિયાત આ પ્રોસેસમાંથી થવું પડશે પસાર
મળશે એપ દ્વારા પેપરલેસ એન્ટ્રી
દેશના દિલ્હી, વારાણસી અને બેંગ્લોર એરપોર્ટ પર આજે ગુરૂવારે ડોમેસ્ટિક યાત્રીઓ માટે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) પર આધારિત નવી સિસ્ટમ આજથી શરૂ થઈ છે. આમાં મુસાફરને તેના ચહેરા પરથી ઓળખવામાં આવશે અને તે ડિજી-યાત્રા મોબાઈલ એપ (Digi Yatra Mobile App) દ્વારા એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી કરી શકશે. તેમનો મુસાફરીનો ડેટા ચહેરાની ઓળખ દ્વારા સુરક્ષા તપાસો અને અન્ય ચેક પોઈન્ટ પર જાતે જ પ્રોસેસ કરી આપશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA)ના ટર્મિનલ-3 માટે ડિજી-યાત્રાનો ઔપચારિક પ્રારંભ કર્યો. તે હૈદરાબાદ, કોલકાતા, પુણે અને વિજયવાડામાં પણ માર્ચ 2023થી શરૂ થશે. ટૂંક સમયમાં આ ટેક્નોલોજી દેશભરના એરપોર્ટ પર શરૂ થશે.
તમને જણાવી દઈએ કે આ નવી સિસ્ટમ માટે બનાવેલ ડિજી-યાત્રા મોબાઈલ એપનું બીટા વર્ઝન (ટેસ્ટ ફોર્મેટ) 15 ઓગસ્ટે દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. એપ્લિકેશનની નોડલ એજન્સી ડિજી-યાત્રા ફાઉન્ડેશન છે. જે એક બિન-લાભકારી સંસ્થા છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) તેમજ કોચીન, બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિ. માં હિસ્સો ધરાવે છે.
સિંધિયાએ કહ્યું કે એપમાં મુસાફરોનો ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવશે, આ માટે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોનો ડેટા એરપોર્ટના 24 કલાક પહેલા શેર કરવામાં આવશે. તે મુસાફરી પૂર્ણ થયાના 24 કલાકમાં એરપોર્ટના સર્વરમાંથી ફરજિયાત રીતે ડિલીટ પણ કરવામાં આવશે.
બોર્ડિંગ પાસ સાથે લિંક કરવામાં આવશે ઓળખ
મુસાફરોએ તેનું આધાર કાર્ડ વેરિફિકેશન અને ફોટો ડિજી-યાત્રા મોબાઈલ એપ પર અપલોડ કરવાનો રહેશે. બોર્ડિંગ પાસ એપ પર જ સ્કેન કરવાનો રહેશે. આ માહિતી એરપોર્ટ સાથે શેર કરવામાં આવશે. બોર્ડિંગ પાસના બારકોડને એરપોર્ટના ઈ-ગેટ પર સ્કેન કરવામાં આવશે.
અહીં FRT લગાવવામાં આવશે. જેમાં મુસાફરના ચહેરા દ્વારા ઓળખ અને મુસાફરીના દસ્તાવેજોની પુષ્ટિ કરવામાં આવશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુસાફરો ઈ-ગેટ દ્વારા એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે. તેમને વિમાનમાં ચડતી વખતે સુરક્ષા તપાસ અને સામાન્ય પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે.
9 મિનિટમાં વિમાનમાં બેસાડવામાં આવશે મુસાફરો
સિંધિયાએ કહ્યું કે FRT ટેક્નોલોજી દુબઈ, સિંગાપોર, એટલાન્ટા સહિત જાપાનના નરિતા એરપોર્ટ પર મુસાફરોનો સમય બચાવી રહી છે. એટલાન્ટા એરપોર્ટ પર, 9 મિનિટમાં પેસેન્જર બેસાડવાનો દાવો કરે છે.