સર્બિયાની સરકારે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે 1 જાન્યુઆરી 2023 થી ભારતીય પાસપોર્ટ ધારકોને હવે માન્ય વિઝા વિના સર્બિયા ટ્રાવેલ કરવાની સુવિધા નહીં મળે.
સર્બિયાની સરકારે ભારતીયો માટે વિઝા ફ્રી ટ્રાવેલ નાબૂદ કરવાનો નિર્ણય કર્યો
પાંચ વર્ષથી મળતી હતી વિઝા ફ્રી એન્ટ્રી
ભારતીય દૂતાવાસે વિઝા નિયમોમાં ફેરફાર વિશે એડવાઈઝરી બહાર પાડી
ઈલીગલ માઈગ્રેશનને નિયંત્રિત કરવા માટે અને યુરોપિયન વિઝા પોલિસીનું પાલન કરવા માટે સર્બિયાની સરકારે ભારતીયો માટે વિઝા ફ્રી ટ્રાવેલ(Visa Free Travel)ને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે એમને એક નિવેદન પણ બહાર પાડ્યું હતું અને એ મુજબ 1 જાન્યુઆરી 2023 થી ભારતીય પાસપોર્ટ ધારકોને હવે માન્ય વિઝા વિના સર્બિયા ટ્રાવેલ કરવાની સુવિધા નહીં મળે.
જણાવી દઈએ કે આ પહેલા રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે વિઝા વિના દેશની મુલાકાત લેવાની છૂટ હતી એ સામે સામાન્ય પાસપોર્ટ ધારકો માટે આ સમયગાળો 30 દિવસનો હતો. બહાર પાડેલ નિવેદનમાં સરકારે કહ્યું હતું કે સર્બિયામાં 30 દિવસ સુધીના વિઝા-મુક્ત પ્રવેશની વ્યવસ્થા હાલ પાછી ખેંચી લેવામાં આવી છે.
પાંચ વર્ષથી મળતી હતી વિઝા ફ્રી એન્ટ્રી
જણાવી દઈએ કે સર્બિયા દ્વારા સપ્ટેમ્બર 2017માં વિઝા-મુક્ત પ્રવેશની રજૂઆત કરવામાં આવી હતી અને સર્બિયા જતા ભારતીયો સર્બિયામાં વિઝા ફ્રી એન્ટ્રીના આધારે સર્બિયાના પડોશી દેશો અને અન્ય યુરોપીયન દેશો સહિત બીજા દેશોમાં મુસાફરી કરી શકતા નહતા. સર્બિયા સરકારની આ જાહેરાત બાદ બેલગ્રેડમાં ભારતીય દૂતાવાસે વિઝા નિયમોમાં ફેરફાર વિશે ભારતીય નાગરિકોને જાણ કરતી એક એડવાઈઝરી બહાર પાડી હતી.
એડવાઈઝરી પાડી બહાર
એડવાઈઝરી મુજબ 1 જાન્યુઆરી 2023 થી સર્બિયા જનારા દરેક ભારતીય નાગરિકોને રિપબ્લિક ઓફ સર્બિયામાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડશે. 30 દિવસના વિઝા-મુક્ત પ્રવેશની હાલની વ્યવસ્થા સર્બિયાની સરકારે પાછી ખેંચી લીધી છે. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વેલીડ શેંગેન, યુકે વિઝા, અથવા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વિઝા અથવા આ દેશોમાં નિવાસી દરજ્જા ધરાવતા ભારતીયો 90 દિવસ સુધી સર્બિયામાં પ્રવેશ કરી શકે છે.