નવા વર્ષના પ્રથમ દિવસે જ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકની તેના જ મિત્રએ ચપ્પાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવક અને તેનો મિત્ર નાસ્તો કરવા બેઠા હતા ત્યારે યુવકે મિત્રને લાફો ઝીંકી દીધો હતો, જેની અદાવત રાખી મિત્રએ તેના પિતરાઇ ભાઇ સાથે મળી યુવકને ચપ્પાના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. 31 ડિસેમ્બરની રાત્રે પણ વસ્ત્રાલમાં યુવકની હત્યાનો બનાવ બન્યો હતો.
મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બે યુવકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઇ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ડીફેન્સ કોલોનીમાં રહેતા દેવેન્દ્ર રાજપૂતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બે યુવકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે દેવેન્દ્રનો મિત્ર ઘનશ્યામ ઉર્ફે બાબા જગમોહન રાજપૂત તેની સાથે ડીફેન્સ કોલોની ખાતે રહે છે. ગઇ કાલે બપોરે ઘનશ્યામ ઉર્ફે બાબા રાજપૂત તથા રીંકુ ઉર્ફે ટમાટર અને ચેતન સહિતના મિત્રો ડીફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા. તે સમયે સામાન્ય બોલાચાલી થતાં ઘનશ્યામે તેના મિત્ર રીંકુ ઉર્ફે ટમાટરને બે-ત્રણ લાફા મારી દીધા હતા.
ગઇકાલે સાંજે ઘનશ્યામ ઉર્ફે બાબા ડીફેન્સ કોલોની ગાયત્રી મંદિર પાસે તેના મિત્રો દેવેન્દ્ર રાજપૂત, ધીરજ ઠાકુર, રામનરેશ તોમર અને દિલીપ યાદવ પાસે ઊભો હતો. ઘનશ્યામે બપોરે રીંકુને માર્યો હોવાની વાત કરી હતી. તે સમયે 100 મીટર દૂર ઊભેલા રીંકુએ ઘનશ્યામને બૂમ મારી પોતાની પાસે બોલાવ્યો હતો.
રીંકુ પાસે પહોંચીને ઘનશ્યામ વાતચીત કરતો હતો તે સમયે રીંકુના કાકાનો દીકરો ચેતન ત્યાં પહોંચ્યો હતો. ચેતને એકાએક ઘનશ્યામના બે હાથ પાછળથી પકડી લીધા અને રીંકુ ઉર્ફે ટમાટરે તેની પાસે રહેલ ચાકુ કાઢી ઘનશ્યામને ચાર-પાંચ ઘા મારી દીધા હતા. ચાકુના ઘા વાગતાં ઘનશ્યામ જમીન પર ફસડાઇ પડ્યો હતો, જ્યારે હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટના જોઈ દેવેન્દ્ર રાજપૂત સહિતના મિત્રો સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ ઘનશ્યામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ઘનશ્યામને મૃત જાહેર કરાયો હતો. બનાવના પગલે મેઘાણીનગર પોલીસે દેવેન્દ્રકુમાર રાજપૂતની ફરિયાદના આધારે આરોપી રીંકુ ઉર્ફે ટમાટર ભગવાનદાસ રહેદાસ અને ચેતન રહેદાસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે ઘનશ્યામની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી છે.
ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરના રોજ વસ્ત્રાલ વિસ્તારમાં અર્પણ પાંડે તેમજ સુશીલ ઠાકુર નામના બે યુવકોએ રૂપિયાની લેતી-દેતીના મામલે જશવંતસિંહ નામની વ્યકિત પર છ રાઉન્ડ ફાયિરંગ કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ નવા વર્ષની શરૂઆતમાં જ મેઘાણીનગરમાં હત્યા થતાં ચકચાર મચી ગઇ છે.
‘હેપી ન્યૂ યર’ની પોસ્ટ કરી દુનિયાને અલિવદા કહી દીધુંઃ રીંકુ અને ઘનશ્યામ વચ્ચે ખાવા-પીવાના મામલે બોલાચાલી થઇ હતી, જેમાં ઘનશ્યામે રીંકુને લાફો ઝીંકી દીધો હતો, જેના બદલામાં રીંકુએ તેને ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. 2021ની શરૂઆત થતાંની સાથે જ ઘનશ્યામ ઉર્ફે બાબાએ ફેસબુક પર પોતાનો ફોટોગ્રાફ્સ અપલોડ કરી ‘હેપી ન્યૂ યર’ની પોસ્ટ કરી અને તેના થોડાક કલાકોમાં તેની ઘાતકી હત્યા થઇ ગઇ.
રીંકુ ઉર્ફે ટમાટર બુટલેગર કાકી સાથે કામ કરતો હતોઃ હત્યાની કોશિશ જેવા અનેક કેસમાં સંડોવાયેલા રીંકુ ઉર્ફે ટમાટરની કાકી બુટલેગર છે અને તે તેનાં કાકી સાથે કામ કરતો હતો. બેકાર બની ફરતા અને નાની-મોટી મારામારી કરતા રીંકુને કાકી દારૂની ડિલવરી કરવાના રૂપિયા આપતી હતી.
અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં ફરી ફાયરિંગની ઘટના
ઠક્કરબાપા નગર વિસ્તારમાં લૂંટ કરવા આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. લૂંટારૂઓ 40 હજારની લૂંટ કરી ફરાર થયા હતા. ગાયત્રી કોસ્મેટિકના હોલસેલ વેપારીના ત્યા ફાયરિંગ થયું હતું. હાલ કૃષ્ણનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.