RBIએ ૨૭મી માર્ચે કોરોના વાયરસના પગલે હાલકડોલક થઇ રહેલા ભારતીય અર્થતંત્રને સ્થિર કરવાના અને લોકોને આ કટોકટીમાં સગવડ આપવાના પ્રયત્નરૂપે પોતાના વ્યાજદર ઘટાડવા, ૩ મહિના માટે લોનના હપ્તા ભરવા ઉપર રાહત આપવી જેવા શ્રેણીબદ્ધ પગલા ભર્યા છે. હવે આ નિર્ણયોથી ઘણા બધા લોકોને ઘણા પ્રશ્નો અને મૂંઝવણો છે તો હવે આ બધા પ્રશ્નોના જવાબ તમે અહી મેળવી લેશો.
કેવા પ્રકારની નાણા ધીરનાર સંસ્થાઓ ઉપર આ મોરેટોરિયમ લાગુ પડશે?
દેશની કોઈ પણ પ્રકારની નાણા ધીરનાર સંસ્થા હોય; એ સ્થાનિક ગ્રામીણ બેંક હોય, નાની નાણાકીય બેંક હોય, સ્થાનિક વિસ્તારની બેંક હોય, કો ઓપરેટીવ બેંક હોય, નેશનલ લેવલની બેંક હોય, NBFC હોય, HDFC જેવી હાઉસિંગ ફાઈનાન્સ કંપની હોય; કોઈ પણ પ્રકારની સંસ્થામાંથી તમે લીધેલ લોનના EMIની ચુકવણીમાં તમને ૩ મહિનાની રાહત આપવામાં આવશે.
કયા ૩ મહિના આ લાભ મળશે?
આ મોરેટોરિયમ ૧ માર્ચ ૨૦૨૦થી ૩૧ મે ૨૦૨૦ સુધી લાગુ રહેશે અર્થાત ત્યાં સુધી EMI ભરવા મુદ્દે તમને રાહત મળશે.
કયા પ્રકારની લોન ઉપર આ લાભ મળશે?
સારા સમાચાર એવા છે કે કોઈ પણ પ્રકારની લોન હોય; હોમ લોન, ઓટોમોબાઈલ લોન, ખેડૂત લોન, રીટેલ લોન, પાક માટેની લોન; કોઈ પણ લોન ઉપર તમને આ લાભ મળશે. અને હા, તમારા ક્રેડિટ કાર્ડ ની બાકી રકમ ભરવા માટે પણ આ લાભ તમને મળશે.
EMI અને ક્રેડિટ કાર્ડ ઉપરાંત લોનની પ્રિન્સિપલ અને વ્યાજની રકમ તથા બુલેટ રી પેમેન્ટસ (મેચ્યોરીટી સમયે ભરવામાં આવતી ચોક્કસ રકમ) ઉપર પણ આ ૩ મહિનાના લાગુ કરેલા મોરેટોરિયમનો લાભ મળશે.
શું આ મારી ક્રેડિટ હિસ્ટ્રીને અસર કરશે?
ના! તમે જાણો છો કે જે ખાતું ૯૦ દિવસથી વધુ સમય માટે લોનની ચુકવણી ન કરે તેને નોન પરફોર્મિંગ એસેટ (NPA) ગણવામાં આવે છે અને તેના ક્રેડિટ સ્કોર ઉપર વિપરીત અસર થાય છે. હવે અત્યારના સંજોગોમાં તમે ૩ મહિના EMI નહિ ભરો તો પણ તમારું એકાઉન્ટ NPA નહિ ગણવામાં આવે.
અહી શું ધ્યાનમાં રાખવા જેવું છે?
કેટલાક લોકો એવું માને છે કે આ તમારા લોનના હપ્તાની માફી છે. આ એક ગેરસમજ છે. આનો અર્થ એવો છે કે ૩ મહિનાના લાગુ કરેલા મોરેટોરિયમના અંતે તમારા લોનનો કાળ એડજસ્ટ કરી દેવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો તમારું EMIનું ભારણ ખાલી ૩ મહિના પાછું ઠેલવવામાં આવ્યું છે તેને ૩ મહિના માટે રદ નથી કરવામાં આવ્યું.
અહી એ પણ સમજવા જેવું છે કે અત્યાર સુધીની વ્યાજની રકમ અને આ ૩ મહિના માટેની વ્યાજની રકમ પણ મહિનાના લાગુ કરેલા મોરેટોરિયમના અંતે ગણતરીમાં લેવામાં આવશે. તેને માફ નથી થઇ ગઈ. તેને બાકી લોનમાં ઉમેરી દેવાશે.
અહી ફક્ત લાભ એ મળી રહ્યો છે કે ૩ મહિના સુધી લોનના EMI ન ભરવા માટે તમને ડિફોલ્ટરનો ટેગ નહિ લગાડવામાં આવે, તમને ૩ મહિનાનો વધારાનો સમય આપવામાં આવશે જ્યાં તમે રૂપિયાની વ્યવસ્થા કરીને બેંકને જમા કરી દો.
અહી એ પણ નોંધો કે RBIએ તમામ બેંકોને મોરેટોરિયમ લાગુ કરવાની પરવાનગી આપી છે પણ બેંક તેના ચોક્કસ નિયમો પોતાના બોર્ડ સાથે ચર્ચા કરીને અને પોતાની રુલબુકમાં લખેલ પોલીસી પ્રમાણે જ નક્કી કરશે.
EMI ના હપ્તા બાકી હોય તો શું કરવું?
જો તમારી પાસે પુરતો કેશ ફલો છે તો સારું એ છે કે તમે સામાન્ય EMI ઉપર અત્યારે જ હપ્તા ભરવાના ચાલુ રાખો. જો આ લોક ડાઉનમાં તમારી આવક અટવાઈ ગઈ છે તો જ આ સ્કીમનો લાભ લો જેથી તમે ક્રેડિટ સ્કોર બગાડ્યા વિના ૩ મહિનાની રાહત લઇ શકો. પણ એ યાદ રાખો કે આ ૩ મહિનાના હપ્તાની વ્યાજ સહિતની રકમ તમારે ભવિષ્યમાં તો ભરવાની છે જ!