વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયે તાજેતરમાં તેમના રાષ્ટ્રીય ઉદબોધન અંગે જાહેરાત કરી ત્યારે ભારતની પ્રજામાં ભારે ઉત્સુકતા અને ઇંતેજારી હતી. એક બાજુ કોરોનાનો કેર છે, બીજી બાજુ ચીન સાથેેની સરહદે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે એવી આશા હતી કે વડા પ્રધાન મોદી ચીન સામે કોઇ કાર્યવાહી કરવાની મોટી જાહેરાત કરશે, પરંતુ તેમણે તેમના ઉદબોધનમાં ચીન વિશે એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહોતો. તેના બદલે વડા પ્રધાને ગરીબોને મફત અનાજ આપવાની યોજના લંબાવવાની જાહેરાત કરી હતી.
અલબત્ત, આ જાહેરાત આવકાર્ય છે અને કોરોના જેવી મહામારીમાં ગરીબોને અનાજ મળે તેવી યોજના લંબાવવામાં આવી એ વાત પણ આવકાર્ય છે, પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે શું ગરીબોને અનાજ આપવાની યોજનાનો ખરા અર્થમાં અમલ થાય છે ખરો? શું ખરેખર લિક્ષત ગરીબો સુધી અનાજ પહોંચે છે ખરું?
થોડા દિવસ પૂર્વે મોદીના જ કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને તો એટલી હદે કહ્યું હતું કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા જેવાં રાજ્ય પ્રવાસી શ્રમિકોને વિતરણ કરવામાં આવનાર અનાજનો પુરવઠો ઉપાડવા જ તૈયાર નથી. આનો અર્થ એ થયો કે રાજ્ય એ ચિંતા કરવી જરૂરી સમજતાં નથી કે કોરોના કેરના પગલે લાગુ કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પરિણામે રોજગાર ગુમાવનાર લાખોની સંખ્યામાં પોતાના ગામ-વતન પરત ફરી ગયેલા પ્રવાસી શ્રમિકો ભૂખ્યા પેટે ના રહે. આ બાબત ઘોર સંવેદનહીનતા જ નહીં, પરંતુ ગરીબ વિરોધી વલણ પણ છે.
રાજ્યના આ પ્રકારના વલણ બાદ એવો સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે વડા પ્રધાને તાજેતરમાં પીએમ ગરીબ કલ્યાણ યોજના નવેમ્બર સુધી લંબાવવાની જે જાહેરાત કરી છે તે ખરા અર્થમાં વાસ્તવિક રીતે પાર પડશે ખરી? આ યોજના આમ તો માર્ચ મહિનાથી જ લાગુ કરવામાં આવી છે. એટલા માટે એ સવાલ પણ ઊભો થવો સ્વાભાવિક છે કે શું આ યોજનાનો યોગ્ય રીતે અમલ કરવામાં આવી રહ્યો છે ખરો? આ પ્રકારના સવાલો ઊભા થવા પાછળનું કારણ એ છે કે આ યોજનાના અમલ બાદ એવા કિસ્સા સામે આવ્યા હતા, જેમાં કેટલાંક રાજ્યએ પ્રવાસી શ્રમિકોને વિનામૂલ્યે અનાજ આપવાની બાબતમાં રસ દાખવ્યો ન હતો અને આ બાબતમાં તેમણે પોતાના શિથિલ વલણનો પરિચય કરાવ્યો હતો.
મોદી સરકારે આ વિકટ સમયમાં ગરીબોને મદદ કરીને સારું કામ કર્યું છે પણ આ યોજના એવી પ્રભાવશાળી નથી કે જેના કારણે સમગ્ર દુનિયા તેના પર ફિદા થઇ જાય, પરંતુ આપણે આવી યોજના કરવી પડે છે એ આપણા માટે શરમજનક કહી શકાય. દેશની કુલ ૧૩૦ કરોડની વસતીમાંથી ૮૦ કરોડ કરતાં વધારે એટલે કે ૬૦ ટકા કરતાં વધારે લોકોને સરકારે નવ-નવ મહિના સુધી મફત અનાજ આપીને ટકાવવા પડે એ ખરેખર તો આપણી કલંકકથા છે.
આ દેશની ૬૦ ટકા વસતીને આટલાં વરસેય આપણે એટલી પગભર નથી કરી શક્યા કે કપરા સમયમાં બે-ચાર મહિના પોતાના જોરે ઘર ચલાવી શકે, પરંતુ વાંક એ ગરીબ લોકોનો નથી, કેમ કે એ તો મહેનતકશ પ્રજા છે. એ તો મહેનત કરીને પોતાનું પેટ ભરે જ છે. દેશને આર્થિક રીતે પગભર બનાવવામાં આપણે નિષ્ફળ રહ્યાં છીએ.
આમ તો અન્ય દેશોનાં અર્થતંત્ર તો એટલાં મજબૂત છે કે ત્યાંની સરકાર સામાન્ય લોકોના હાથમાં કેશ આપે છે, તેમના ખાતામાં નાણાં જમા કરાવે છે. અમેરિકાએ દરેક નાગરિકના ખાતામાં ૨૯૦૦ ડોલર જમા કરાવ્યા હતા. જાપાન, ન્યૂઝીલેન્ડ જેવા દેશોએ પણ આ કામ કર્યું હતું, કેમ કે તેમને ખબર છે કે લોકોને ખાવા-પીવાની કે સારવાર કરાવવાની તકલીફ જ નથી. એ બધી વ્યવસ્થા તો વરસોથી સરકારે કરેલી છે, જે તકલીફ છે એ કેશની છે. તેથી એ સરકારો લોકોને કેશ આપે છે ને આપણે અહીં ગરીબોને મફત અનાજ આપીને ખુશ થઈએ છીએ અને વિડંબના એ વાતની છે કે આ અનાજ પણ લિક્ષત ગરીબો સુધી પહોંચતું નથી અથવા તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની હુંસાતુંસીમાં દેશની ગરીબ પ્રજા પીસાય તથા પીડાય છે.