માનવ સેવા એ જ પ્રભુ સેવા અને આ જ ઉદેશ્ય સાથે ભાવનગરમાં જરૂરિયાતમંદ લોકોને વિના મુલ્યે દવા આપવામાં આવે છે. અહીં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા આપતી સંસ્થા ડ્રગ બેન્ક છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે અને દર વર્ષે 1 કરોડ રૂપિયાની દવા વિનામુલ્યે આપવામાં આવે છે.
માનવ સેવા એ જ પ્રભુ સેવા ભાવનગરના એક નામાંકિત વકીલ હર્ષદભાઇ આચાર્યને વિચાર આવ્યો કે રોગોની સારસંભાળ અને તેની દવા મોંઘી હોય છે. જે સામાન્ય લોકોને પરવડતી નથી. જેથી શા માટે વિનામૂલ્યે દવા આપતી બેન્ક શરૂ ન કરી શકાય. આ વિચાર બાદ તેમણે ડ્રગ બેન્કની સ્થાપના કરી. સામાન્ય રીતે લોકો દવા લીધા પછી વધેલી દવા ફેંકી દેતા હયો છે. જેથી હર્ષદભાઇએ ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો પર પેટી મુકી અને વણ વપરાયેલી દવાઓ આ પેટીમા મુકવા માટે અનુરોધ કર્યો અને આ પેટીમાં મુકેલી દવાઓનું સોર્ટિગ કરી જરૂરિયાત મંદ દર્દીઓને વિનામુલ્યે આપવાનું શરૂ કર્યું. અહીં ઘણા એવા પણ દાતાઓ છે કે જે વિનામૂલ્યે દવા મોકલે છે જે દર્દીને અપાય છે.
આ ડ્રગ બેન્કમાં દરરોજ 100 વધુ લોકો દવા લેવા માટે આવે છે. અહીં સર્વ ધર્મ સંભવની જેમ નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર દવા આપવામાં આવે છે. અહીં દવા લેવા આવનાર લોકોનું પણ કહેવું છે કે ડ્રગ બેન્ક દ્વારા મળતી દવાને લઇને દવાના ખર્ચમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે અને જેથી અમે આ પૈસા ઉપયોગ બાળકોના અભ્યાસમાં કરી શકીયે છીએ.
તો અહીંથી વધુ લોકો દવા લઇ જાય તેવો પણ આગ્રહ સંચાલકો રાખી રહ્યાં છે. તો વિનામૂલ્યે દવા મળવાથી ગરીબ લોકોને મોટો ફાયદો થઇ રહ્યો છે. આમ ભાવનગરમાં શરૂ કરવામાં આવેલી આ સેવાના યજ્ઞને આવકારવા જેવો છે.