ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભાની ચૂંટણી માટેના ઠરાવ પત્રમાં કોરોનાની વેક્સીન ફ્રીમાં આપવાનું વચન આપ્યું છે. આ વચન બાદ દેશમાં એક અલગ જ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. ઘણા વિપક્ષી પાર્ટીઓ અને રાજ્ય સરકારોએ આ પર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારમાં મંત્રી પ્રતાપ સારંગી કહે છે કે માત્ર બિહાર જ નહીં, પરંતુ દેશના દરેક નાગરિકને કોરોના રસી મફતમાં મળશે.
ફ્રી કોરોના વેક્સીનને લઈને વિવાદ
કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીનું મોટું નિવેદન
બિહાર જ નહીં, પરંતુ દેશના દરેક નાગરિકને કોરોના રસી મફતમાં મળશે
ઓરિસ્સાના બાલાસોરમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું કે પીએમ મોદીએ કહ્યું છે કે દરેકને કોરોના રસી મફતમાં મળશે, એક વ્યક્તિને કોરોનાની રસી પૂરી પાડવા માટેનો ખર્ચ પાંચસો રૂપિયા થશે. બાલાસોરમાં પેટા-ચૂંટણીઓ યોજાવાની છે અને પ્રતાપ સારંગી ત્યાં પ્રચાર માટે ગયા હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પણ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે ભારતના વૈજ્ઞાનિકો વેક્સીન માટે કામ કરી રહ્યા છે અને જલ્દી જ વેક્સીન આવશે.
વિપક્ષે ભાજપ પર વેક્સીનની વહેંચણી મુદ્દે કર્યા પ્રહાર
બિહારમાં ભાજપના વચન બાદ અનેક રાજકીય પક્ષોએ આ નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ પૂછ્યું હતું કે શું દેશમાં કોવિડ રસી રાજ્યોની ચૂંટણી પ્રમાણે ઉપલબ્ધ થશે? સરકારે કોરોનાની રસી દેશની સામે વહેંચવાની નીતિ મૂકવી જોઈએ અને તે બધાને વિના મૂલ્યે પ્રદાન કરવી જોઈએ.
સરકારે રસી માટે રાખ્યું છે 50 હજાર કરોડ રૂપિયાનું બજેટ
અત્યાર સુધીમાં તમિલનાડુ, મધ્યપ્રદેશ, આસામ, પુડ્ડુચેરીની રાજ્ય સરકારોએ તેમના નાગરિકો માટે મફત રસી જાહેર કરી છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશભરમાં નિઃશુલ્ક રસી આપવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકારે કોવિડ રસી વિતરણનું કામ કરવાનું શરૂ કર્યું છે. એક અંદાજ મુજબ સરકારે આ માટે અત્યાર સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાનું બજેટનું અનુમાન રખાયું છે.