રાજકોટના ગોંડલના હરીપર પાળ ગામના ખેડૂતને 6 કરોડની જમીનના માત્ર દોઢ કરોડ આપી હાથ ઉચા કરી દેતા ખેડૂતે લોધીકા પોલીસ સ્ટેશનમાં 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
હરીપર પાળના ખેડૂત સાથે 4.50 કરોડની છેતરપિંડી
છેતરપિંડીમાં ભાજપ અગ્રણીનું નામ સામે આવ્યું
ભાજપ અગ્રણી સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ
રાજકોટના હરીપર પાળ ગામના ખેડૂત છેતરપિંડીનો ભોગ બન્યા છે. ખેડૂત સાથે જમીન ખરીદવાના નામે છેતરપિંડી આચરવામાં આવતા લોધીકા પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણી સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કિશોર આદીપરા સહિત 8 સામે ફરિયાદ
લોધીકા પોલીસમાં ખેડૂત પાલાભાઈએ ભાજપ અગ્રણી કિશોર આદીપરા, છગન બુસા, ડો દિલીપ પટેલ, કુલદીપસિંહ રાઠોડ, હિતેશ રાંક, સંદીપ રાંક, પ્રવીણ હુંબલ અને દિપક પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. 4.50 કરોડની છેતરપિંડીમાં ગોંડલ પંથકના ભાજપના આગેવાનનું નામ ખુલતા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 6 કરોડમાં જમીનનો સોદો કરી 1.50 કરોડ જ આપ્યા હતા બાકીના 4.50 કરોડની ઠગાઈ થઈ હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે.
જમીન વેચવા કિશોર આદીપરાનો કર્યો હતો સંપર્ક
રાજકોટના હરીપર પાળ ગામના ખેડૂત પાલાભાઈ મેઘાભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની 2 એકર 3 ગુંઠા જમીન વેચવા માટે તેમણે કિશોર આદીપરાનો સંપર્ક કર્યો હતો. જે બાદ જમીનનો સોદો 6 કરોડ રૂપિયામાં નક્કી થયો હતો. ત્યારબાદ કિશોર આદીપરા તેમને છગન બુસા અને ડો. દિલીપ પટેલની ઓફિસે લઈ ગયા હતા. વર્ષ 2012માં છગન બુસા અને ડો.દિલીપ પટેલ જોગ દસ્તાવેજ કરવાનું નક્કી થતાં તે દિવસે તેમને રૂ.1.50 કરોડ આપવામાં આવ્યા હતા અને બાકીના 4.50 કરોડ આઠથી દસ દિવસમાં ચૂકવી આપવાનું કહેતા જમીનનો કબજો ફરિયાદીએ પોતાની પાસે રાખેલો અને પૂરું પેમેન્ટ થયા પછી જ કબ્જો આપવાની વાત પર બધા સહમત થયા બાદ દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી.
કુલદિપસિંહ રાઠોડે ઉભો કર્યો બોગસ દસ્તાવેજ
પરંતુ કુલદિપસિંહ રાઠોડ, હિતેશ રાંક અને સંદિપ રાંકે જોગ બોગસ દસ્તાવેજ ઉભો કર્યો હતો. એટલું જ નહીં આ તમામે કબજો મળ્યા અંગેનું પણ આમાં ખોટું લખાણ દશાર્વેલ હતું. જેથી પાલાભાઈએ છગન અને દિલીપ પટેલને જમીનની બાકી રકમ ચૂકવી દેવાનું કહેતાં બંનેએ 'થોડા દિવસમાં પૈસા ચૂકવી આપીશું' એવી જોગ પ્રોમિસરી નોટ કરી આપી હતી. જેમાં સાક્ષી તરીકે કિશોર આદીપરાએ સહી કરી હતી.
2017માં ગોંડલ સિવિલ કોર્ટમાં કર્યો હતો દાવો
જે બાદ ખેડૂત પાલાભાઈએ પ્રોમિસરી નોટ અનુસાર પૈસાની માંગ કરતા આ તમામે કહ્યું હતું કે અમારે ત્યાં પૈસા બાબતમાં આવવું નહીં, અમે તેમને પૂરેપૂરી રકમ ચૂકવી આપી છે. રૂપિયાની માંગ કરતા આ તમામે હાથ ઉધ્ધર કરી દીધા હતા. જેથી ખેડૂતે આ મામલે ગોંડલ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. કોર્ટે દ્વારા 2017માં જમીનનું પંચરોજ રોજકામ કરાયું હતું. જેમાં પણ જમીનનો કબજો તેનો હોવાનું રેકર્ડ પણ આવ્યું હતું. જોકે, ત્યારથી સમાધાનની વાતચીત ચાલુ હોવાથી ફરિયાદ ફાઈલ કરાવી હતી. પરંતુ ત્યાર બાદ પણ કોઈ રકમ આપી નહોતી અને બનાવટી પ્રોમિસરી નોટ ઉભી કરી હતી. ત્યારે હાલ ખેડૂતે આ મામલે ફરિયાદ નોંધાવતા લોધિકા પીએસઆઈ વી.બી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.