રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ચાર અરજદારો સાથે છેતરપિંડી, ભક્તિનગર પોલીસે આરોપી અમિત ચૌહાણની કરી ધરપકડ
આવાસ યોજનાનાની લાલચ પડી શકે ભારે
આવાસ યોજનાના નામે છેતરપિંડી
છેતરપિંડી આચરનારાની ધરપકડ
રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનારા અમિત ભાવસિંગ ચૌહાણ નામના વ્યક્તિની ભક્તિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે રવિશંકર ગૌતમ નામના ફરિયાદીની ફરિયાદના આધારે અમિત ચૌહાણ વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 420, 465, 468, 471, 472, 474 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં આવાસ યોજનાના મકાનના નામે છેતરપિંડી
પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદી રવિશંકર ગૌતમ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને પોતે પોતાના માટે મકાન શોધી રહ્યા હોય જે દરમિયાન આરોપી અમિત ચૌહાણ સાથે તેમનો સંપર્ક થયો હતો. અમિત ચૌહાણે તેમને વિશ્વાસમાં લઈ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આર્થિક રીતે નબળા લોકો માટે નિર્માણ થનાર આવાસ યોજનાના ક્વાટર્સ અપાવી દેશે તેવું જણાવ્યું હતું. જે પેટે રાજકોટ મહાનગરપાલિકામાં કટકે કટકે ભરવાના થતા રૂપિયા 90,000 લઈ તે રૂપિયાના બદલામાં આવાસના ક્વાર્ટર્સનું અરજી ફોર્મ સ્વીકાર્યાનું રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટેમ્પ લગાડી ફોર્મ સ્વીકારનાર તરીકેની સહી પણ કરી આપી હતી.
મહાનગરપાલિકાના ખાટો સ્ટેમ્પનો ઉપયોગ કરાયો
સમગ્ર મામલે જ્યારે ફરિયાદી રવિશંકર ગૌતમ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની પાસે રહેલી પહોંચ ખોટી છે. તેમજ પહોંચમાં લગાવવામાં આવેલો રાજકોટ મહાનગરપાલિકાનું સ્ટેમ્પ પણ ખોટો છે. જે બાબતની જાણ થતા ફરિયાદી દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત ભાવસિંગ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટેમ્પ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનાના એક જ સિરીઝના ત્રણ ફોર્મ કબજે કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ચાર અરજદારો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ વધુ અરજદારો ભોગ બન્યા છે કે કેમ તેના માટે પોલીસ દ્વારા વધુ પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આરોપી અમિત ચૌહાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.