LRD-PSI ભરતીમાં છેતરપિંડી મામલે ગાંધીગ્રામ પોલીસે ઇનપુટના આધારે રાત-દિવસ તપાસ કરી 2 આરોપીને પકડી સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું હતું.
રાજકોટ પોલીસની કામગીરી બિરદાવી
મનોજ અગ્રવાલે રોકડ ઇનામ જાહેર કર્યું
ગાંધીગ્રામ પોલીસ ટીમને રૂ.15 હજારનું ઇનામ
રાજકોટ LRD-PSI ભરતીમાં છેતરપિંડી મામલે રાજકોટ પોલીસની કામગીરી બિરદાવવામાં આવી છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસે ઇનપુટના આધારે રાત-દિવસ તપાસ કરી હતી. જે બાદ LRD-PSI ભરતીના નામે કૌભાંડ કરનાર ક્રિષ્ના શાહ અને જેનીસ પરસાણાની ધરપકડ કરી હતી. પોલીસની આ કામગીરીને લોકરક્ષક દળના ચેરમેન અને ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી. સમગ્ર કૌભાંડને ગણતરીના દિવસોમાં ઉકેલ લાવી નાખતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગાંધીગ્રામ પોલીસને રૂ.15 હજાર રોકડ ઇનામ જાહેર કર્યું છે.
સીધા જોઇનિંગ લેટર આપવાની આપી હતી લાલચ
કુલ 12 જેટલા ઉમેદવારો પાસેથી અત્યાર સુધી સીધા જોઇનિંગ લેટર આપવાની લાલચ આપી રૂ.15 લાખ પડાવ્યા હતા. પણ હાલમાં જ જાહેર થયેલા શારીરિક કસોટીના પરિણામમાં એક પણ વહીવટ કરેલ ઉમેદવારનું નામ ન આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અને લાલચે ગયેલા ઉમેદવારો અને તેમના પરિવારને આરોપી શખ્સો રૂપિયા પડાવી ગયા હોવાનું ભાન રહી રહીને થયું હતું. જે બાદ સમગ્ર મામલાને પોલીસ સમક્ષ લઈ જવામાં આવતા તાબડતોબ રાજકોટ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ક્રિષ્ના શાહ અને જેનીસ પરસાણાને પોલીસ જાપ્તામાં લઈ સધન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
કોઇ પૈસા લઇ નોકરી અપાવવાનું કહે તો પોલીસને જાણ કરોઃ હસમુખ પટેલ
LRD-PSI ભરતીના નામે કૌભાંડ મામલે LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ કરીને લખ્યું કે, રાજકોટમાં બે ઇસમો વિરુદ્વ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. કોઇ પણ ઉમેદવારે લાલચમાં આવવું નહીં, કોઇ પૈસા લઇ નોકરી અપાવવાનું કહે તો પોલીસને જાણ કરો.
રાજકોટ પોલીસને અભિનંદનઃ હર્ષ સંઘવી
LRD-PSI ભરતીના નામે કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, રાજકોટ પોલીસને અભિનંદન. રાજકોટ પોલીસે છેતરપિંડી કેસમાં બે શખ્સોની ધરપકડ કરી, આવી કોઇ ઘટના હોય તો બોર્ડને માહિતી આપવી.
શારીરિક કસોટીનું પરિણામ જાહેર પણ લાગ્યા છે મોટા આરોપ
તો બીજી તરફ ગઈ કાલે રાજ્યના 15 કેન્દ્રો પર લેવાયેલી PSIની શારીરિક કસોટીનું પરિમાણ જાહેર કરવામાં આવ્યું હતું. પણ આ રિઝલ્ટ બાદ પારદર્શી ભરતીમાત્ર નામ પૂરતી જ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. PSIની શારીરિક કસોટી મોટા પાયે ગોટાળાના આરોપ થઈ રહ્યા છે. દોડમાં નાપાસ થયેલાઓને પાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ મુકાઇ રહ્યો છે. PSIની ભરતીમાં દોડમાં 96 હજારથી વધુ ઉમેદવારો પાસ થયા છે. શારીરિક પરીક્ષા સમયે અને પરિણામમાં મુકાયેલા ગુણમાં મોટું અંતર રાખવામાં આવ્યાની સાથે દોડમાં પાસ થયેલા અનેક ઉમેદવારો OBCમાંથી સાધારણમાં કરાયાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. હાલ તો 5 ગુણથી 22 ગુણ સુધીના અંતર આવતા ઉમેદવારો ચિંતામાં મુકાઇ ગયા છે એવું લાગી રહ્યું છે ત્યારે ઉમેદવારોના આ આરોપમાં કેટલું તથ્ય છે તેના પર તપાસ જરૂરી છે.