અમદાવાદના જુહાપુરામાં કોર્પોરેશનની જગ્યાના નકલી દસ્તાવેજ કરી 5 મકાન પધરાવી દીધા, AMCની દબાણની નોટિસ આવતા ફૂટ્યો ભાંડો, ઘર પર બુલડોઝર ફેરવાયું
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારની ઘટના
કોર્પોરેશનની જગ્યામાં મકાનો બનાવી ઠગાઈ
AMC એ બુલડોઝર ફેરવતાં પરિવાર બેઘર
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં કોર્પોરેશનની જગ્યામાં મકાનો બનાવી તે મકાનો બારોબાર વેંચીને ઠગાઈ આચરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે.. મહત્વનું છે કે આરોપીએ ખાલી પ્લોટ પોતાની માલિકીનું બતાવી 5 મકાનો બનાવ્યા જેમાં લાખો રૂપિયા લઈને માત્ર એફિડેવીટનાં આધારે મકાનો વેચી લીધા. જોકે થોડા સમયમાં જ કોર્પોરેશનનું બુલડોઝર મકાનો પર ફરી વળતા અનેક લોકો ઘર વિહોણા થયા છે.
નકલી દસ્તાવેજ બનાવી ઠગાઇ
અમદાવાદ શહેરનાં જુહાપુરા, ફતેવાડી અને આસપાસનાં અનેક વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ આમ તો ગેરકાયદેસર રીતે જ બનેલી છે પરંતુ ગેરકાયદેસર જગ્યા પોતાની બતાવીને એક ઠગબાજે 5 મકાનો બનાવી બારોબાર વેંચી દિધા હોવાની ધટના સામે આવી છે. ગ્યાસપુરની સીમમાં આવેલા એક પ્લોટમાં થોડા સમય પહેલા મોહમદ સાકીર ચૌહાણે 5 મકાનો બનાવ્યા હતા. જેમાં ફરિયાદી વજીહાબેન પીરતીવાલાને મકાન લેવાનું હોવાથી તેઓએ બિલ્ડરનો સંપર્ક કર્યો હતો.બિલ્ડરે કોર્પોરેશનની માલિકીની જગ્યાનાં ખોટા દસ્તાવેજો ઉભા કરી તે જગ્યા પર આર. એસ નગર નામની સ્કીમ બહાર પાડી હતી. જેમાં મહિલાને બે મકાન લેવાના હોવાથી તેણે 16 લાખમાં લેવાનું નક્કી કર્યું હતું.
AMCની નોટિસ આવતા ખૂલી પોલ
મહત્વનુ છે કે મહિલાએ મકાન ખરીદતા બિલ્ડરે તેઓને દસ્તાવેજ કરી આપ્યો હતો. જે મકાનમાં મહિલા પોતાનાં પરિવાર સાથે રહેવા જતા પણ રહ્યા હતા..જોકે થોડા સમય પહેલા મકાન કોર્પોરેશનની જગ્યા પર દબાણ કરીને બનાવવામાં આવ્યુ હોવાની AMCની નોટિસ આવતા મહિલાનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ મામલે તેઓએ આરોપી મોહમદ સાકીર ચૌહાણનો સંપર્ક કરતા તેણે લીધેલા 16 લાખમાંથી 4 લાખ પરત આપ્યા હતા અને બાકીનાં પૈસા પરત આપવાના વાયદાઓ કરતો હતો. જોકે 6 મહિના પહેલા AMC દ્વારા મહિલાનાં બે મકાન સહિત તમામ મકાનો પર બુલડોઝર ફેરવી નાખતા સમગ્ર પરિવાર બેઘર થયો છે. આ ધટના બાદ આરોપી બિલ્ડર પણ જોધપુર રાજસ્થાન ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
સપનાનું ઘર ધ્વસ્ત, મહેનતની મૂડી પણ ગઈ
મહત્વનું છે મહિલાએ એક એક રૂપિયો ભેગો કરી પોતાનાં સપનાનું ઘર વસાવ્યું હતું જોકે ઠગ બિલ્ડરનાં કારણે તેણે પોતાનાં લાખો રૂપિયા અને મકાન બન્ને ગુમાવ્યું છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને વિશ્વાસધાતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે આરોપી રાજકિય વગ ઘરાવતો હોવાથી પોલીસ પણ પોતાનાં ખિસ્સામાં હોવાનું જણાવી ફરિયાદીને ફરિયાદ ન કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આરોપીને પોલીસ જેલનાં સળીયા પાછળ ધકેલે છે કે પછી છાવરે છે તે જોવુ રહ્યું.