બદલાતાં વૈશ્વિક રાજકારણમાં જ્યારે નેતાઓનાં માપદંડો બદલાઇ જાય છે ત્યારે અંતે ભોગવવું તો જનતાને જ પડતું હોય છે. જેનું એક ઉદાહરણ છે ચીન અને પાકિસ્તાન. આ બંન્ને દેશનાં નેતાઓ આડકતરી અને સીધી રીતે આંતકીઓનાં આકાઓને પોતાનું સમર્થન આપી રહ્યાં છે. પરંતુ જ્યારે વાત સત્તા જાળવી રાખવાની હોય અને સામ્રાજ્યવાદનો ફેલાવો કરવાની હોય તો આવાં નેતાઓ પ્રજાદમન કરવામાં શરમ નથી અનુભવતા કે નથી આ બાબતે હરફ સુદ્દા ઉચ્ચારતાં.
ચીન એક તરફ પોતાનાં સામ્રાજ્યવાદને પોષવા મસૂદ અઝહર જેવાં વૈશ્વિક આતંકીને આતંકવાદી માનવા ઈન્કાર કરી રહ્યું છે તો બીજી તરફ પોતાનાં જ દેશનાં શિંજિયાંગ પ્રાંતમાં મુસ્લીમો પર દમન કરી રહ્યું છે. ઈસ્લામ ધર્મમાં માનનારા ઉઈગર લોકોનો એક મોટો સમુદાય અહીં વર્ષોથી વસી રહ્યો છે.
ચીનનાં આ પશ્ચિમ ક્ષેત્રમાં તુર્કી મૂળનાં ઉઈગર મુસ્લીમ લોકોની વસ્તી એક કરોડથી વધારે છે. આ ક્ષેત્રમાં ઉઈગર મુસ્લીમો મોટી સંખ્યામાં વસતા હતાં પરંતુ જ્યારથી આ વિસ્તારમાં હાનચીની લોકોનો વસવાટ વધારવામાં આવ્યો છે અને જ્યારથી ચીની પોલીસને અહીં તૈનાત કરવામાં આવી છે ત્યારથી સ્થિતિ બદલાઈ ગઈ છે.
ઉઈગર મુસ્લીમોને અંકુશમાં રાખવા અહીં ચીની પોલીસ દમનનો સહારો લઈ રહી છે. પોલીસ અહીંનાં ઉઈગર મુસ્લીમોને ટાર્ગેટ બનાવી રહી છે. ઉઈગર મુસ્લીમો પર અહીંની સરકાર ખાનગી જાસૂસી કરાવી રહી છે.
ઉઈગર મુસ્લિમો અહીં જાહેરમાં વાતચીત પણ કરી શકતાં નથી. અહીં કામ કરતા મુસ્લીમોનું જીવન હરામ થઈ ગયું છે. આ પ્રાંતમાં ઉઈગર મુસ્લીમોને અંકુશમાં રાખવા પોલીસને અમર્યાદિત પાવર આપવામાં આવ્યાં છે. અહીંનાં લાખો મુસ્લીમોને સાબિતી માટે પોતાનાં ડીએનએ સેમ્પલ આપવા પડે છે.
દરેક મુસ્લિમોનાં મોબાઈલ ફોનને આંચકીને તેમાં રહેલાં સંવેદનશીલ ધાર્મિક સામગ્રીની તપાસ કરવામાં આવે છે. એટલું જ નહીં આ પ્રાંતમાં ગુપ્ત અટકાયતી કેમ્પો પણ ઉભા કરવામાં આવ્યાં છે. જ્યાં હજારો ઉઈગર મુસ્લીમોને કેસ ચલાવ્યાં વગર અટકાયતમાં રાખવામાં આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય મીડિયાને આ કેમ્પોનું કવરેજ કરતા રોકવામાં આવે છે.
જે કોઈ આ ચીનનાં આ પ્રાંતમાં ઉઈગર સમુદાયની સ્થિતિ જાણવા આવે છે તેમની પાછળ-પાછળ ચીની પોલીસ રહે છે અને તેમનું સતત મોનિટરિંગ કર્યા કરે છે અને તેમની ગાડીની પાછળ-પાછળ ચીની પોલીસ રહે છે. કેમ્પોમાં અટકમાં રખાયેલાં ઉઈગર મુસ્લીમોને સવારથી સાંજ સુધી એક જ ખુરશી સખત ખુરશી પર બેઠાં રહેવાં મજબૂર કરવામાં આવે છે. બાળકો સાથે આખે આખાં ફેમિલીને પણ અહીં અટકાયતમાં દિવસો કાઢવાં પડે છે. તેમને ખબર નથી કે તેઓ આ હાલતમાં કેટલું જીવશે.
તો આ તરફ જમ્મૂ-કાશ્મીરમાં માનવ અધિકારની વણમાંગી સલાહ આપનારા પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન મુસ્લિમો સામે ચીનનાં એક પ્રાંતમાં થતાં માનવાધિકાર હનન સામે એક હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નથી.
ઈમરાન ખાનને જ્યારે પુછવામાં આવ્યું કે મુસ્લિમ રાષ્ટ્ર તરીકે ચીનનાં ઉઈગર મુસ્લિમ સમુદાય વિશે પાકિસ્તાનનું શું સ્ટેન્ડ છે, તો પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન બોલ્યાં કે, મને ઉઈગર મુસ્લિમ વિશે વધારે જાણ નથી. વિશ્વ અને મુસ્લિમ સમુદાય તેનાં સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે પત્રકારે ફરી સવાલ કર્યો કે તમારે ચીનનાં દમન સામે બોલવું જોઈએ, તો ઈમરાન ખાને ફરી એ જ જવાબ વાળ્યો કે મને આ મુદ્દા વિશે વધુ જાણ હોય તો હું બોલું. મને આ મામલાની જાણ જ નથી.
જનતાનાં મતથી ચૂંટાઈને સર્વોચ્ચ સ્થાને બિરાજનારા નેતાઓ પોતાની સત્તા બચાવવા માટે જનતાનો સોદો કરતાં પણ અચકાતા નથી. ચૂંટાવા માટે જનતાને સ્વર્ગનાં સપના દેખાડનારા નેતાઓ સત્તા મળ્યાં બાદ નર્કનાં અંધકારમાં ધકેલીને તેમની રાજનીતિ ચમકાવવામાં વ્યસ્ત થઈ જાય છે.