ઇન્ડિયન પ્રીમિયર લીગની આવતી સીઝનની શરૂઆત ક્યારે થશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે BCCI 28 માર્ચથી IPL શરુ કરવા માંગે છે. આ તારીખોથી ફ્રેન્ચાઇઝી માલિકો બિલકુલ ખુશ નથી.
હાલની તારીખોમાં વિદેશી ખેલાડીઓ શરૂઆતમાં નહી જોડાઈ શકે
સારા ખેલાડીઓના અભાવે ટીમો મજબૂત શરૂઆત નહિ કરી શકે તેવો ભય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આઈપીએલની આગામી સીઝન 28 માર્ચથી શરૂ કરવા માંગે છે પરંતુ ફ્રેન્ચાઇઝીઓનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન બે મોટી સિરીઝ છે, જેના કારણે વિદેશી ખેલાડીઓને આવવામાં મુશ્કેલી આવી શકે છે. અહીં નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આ સમયગાળા દરમિયાન ત્રણ ટી -20 મેચની શ્રેણી રમવાના છે, જ્યારે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા બે ટેસ્ટ મેચ રમવાના છે.
ફ્રેન્ચાઇઝીના એક વરિષ્ઠ અધિકારીએ IANSને જણાવ્યું હતું કે સત્તાવાર કેલેન્ડર હજી બહાર નથી આવ્યું પરંતુ તેમને આશા છે કે ગવર્નિંગ કાઉન્સિલ તેના જૂના ટાઈમટેબલમાં પાછી આવી જશે, જેમાં ડબલ હેડર હોય છે અને લીગ 1 એપ્રિલથી શરૂ થાય છે.
અધિકારીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ શ્રેણીની અંતિમ ટી 20 મેચ 29 માર્ચે સમાપ્ત થાય છે જ્યારે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા માટે બીજી ટેસ્ટનો અંતિમ દિવસ 31 માર્ચ છે. આ સ્થિતિમાં સીઝનની શરૂઆત જ મોટા ખેલાડીઓ વિના થશે તે વ્યુઅરશીપ માટે સારી વસ્તુ રહેશે નહીં. જો 1 એપ્રિલથી પ્રારંભ થાય, તો શરૂઆત વધુ સારી થઈ શકે છે. આશા છે કે, IPL ગવર્નિંગ કાઉન્સિલ અમારી રજુઆત સાંભળશે.
બીજા ફ્રેન્ચાઇઝી અધિકારીએ જણાવ્યું કે હરાજીની દિવસે સાંજે ચાર ફ્રેન્ચાઇઝીઓએ બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે આ ટાઈમટેબલ ફ્રેન્ચાઇઝી માલિકોની તરફેણમાં નથી અને આ મુદ્દે ચારથી પાંચ ટીમો વચ્ચે ચર્ચા થઈ રહૈ છે. કોઈપણ બેકફૂટ પર પ્રારંભ કરવા માંગતું નથી.
અમે સીઝનની શરૂઆત સારી લય સાથે કરવાનું પસંદ કરીશું. કેલેન્ડર આવે તે પહેલાં અમારી પાસે હજી થોડા અઠવાડિયા બાકી છે. અમે અપીલ કરી શકીએ છીએ.