છેલ્લા કેટલાક દિવસ દરમિયાના ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર યુરોપમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન ફ્રાન્સે આતંકવાદી સંગઠન અલ કાયદા પર કહેર વરસાવ્યો છે. ફ્રેન્ચ સંરક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર ફ્રેન્ચ સેનાએ માલીમાં એર સ્ટ્રાઇક કરી હતી જેમાં 50 આતંકવાદીઓને ઠાર માર્યા હતા
ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલા બાદ ખળભળાટ
ફ્રેન્ચ સેનાએ માલીમાં એર સ્ટ્રાઇક
50 આતંકવાદીઓને ઠાર માર્યા
આ સિવાય લગભગ ચાર આતંકવાદીઓને જીવતા પકડી લેવામાં આવ્યા છે. ફ્રાન્સમાં, મોહમ્મદ પૈગંબરના કાર્ટૂન બનાવવાના વિવાદ બાદ કેટલાક શહેરોમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ બની હતી. જે બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ચેતવણી આપી હતી કે તેઓ હિંસાને ટેકો આપતા નથી અને આવું કરનારાઓને પાઠ ભણાવવામાં આવશે.
ફ્રેન્ચ સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેના જણાવ્યા અનુસાર, 30 ઓક્ટોબરે, ફ્રેન્ચ સૈન્યએ માલીમાં હવાઈ હુમલો કર્યો છે, જેમાં પચાસથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઘણાં હથિયારોને નુકસાન પહોંચ્યું છે. આ સિવાય ચાર આતંકીઓને જીવતા ઝડપી લેવામાં આવ્યા છે. ફ્રાંસ દ્વારા સોમવારે જ આ હવાઇ હુમલો અંગેની માહિતી શેર કરી હતી. મળતી માહિતી મુજબ આ સ્થળોએથી વિસ્ફોટક, સુસાઇડ વેસ્ટ અને અન્ય વસ્તુઓ મળી આવી છે.
ડ્રોન અને મિરાજ નો ઉપયોગ
ફ્રેન્ચ સેનાએ પશ્ચિમ આફ્રિકાના બુર્કીના ફાસો અને નાઇજરની સરહદો પર આ કાર્યવાહી કરી છે, જ્યાં ફ્રેન્ચ સૈન્ય ઇસ્લામિક આતંકવાદ સામે લડવામાં મશગૂલ છે. ફ્રેન્ચ સૈન્યએ મિરાજ જેટ, ડ્રોનનો આશરો લીધો અને ત્રીસથી વધુ મોટરસાયકલોનો નાશ કર્યો જેનો આતંક મચાવ્યો હતો.
ફ્રાંસની સરકારના જણાવ્યા અનુસાર આ આતંકીઓની અલ કાયદા સાથે સંબંધો હતા. આ લોકો ઇસ્લામ અને મુસ્લિમ સંગઠનોના જૂથ માટે કામ કરતા હતા. તે સમયે જ્યારે આતંકીઓ મોટરસાયકલ પર ઝુંડમાં જઇ રહ્યા હતા, ત્યારે ફ્રેન્ચ સૈન્યએ તેઓને જોયું અને પછી ડ્રોનના માધ્યમથી તેમના પર હુમલો કર્યો.
કેટલાય હુમલાનું શિકાર બન્યું ફ્રાન્સ
આપને જણાવી દઇએ કે, ફ્રાંન્સમાં કેટલાક દિવસો પહેલા કાર્ટુનને લઇને વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ 2-3 શહેરોમાં આંતકી હુમલાની ઘટનાઓ બની હતી. પેરિસ અને ત્યારબાદ નાઇસમાં લોન વુલ્ફ આંતકી હુમલાઓ થયાં હતા. જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાથે જ ચર્ચના પાદરી પર પણ ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો.