મહેસાણાઃ વિજાપુર હાઇ-વે પર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ઉદલપુર ગામ નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના મુસાફરોના મોત થયા છે. અન્ય એક મુસાફરને ગંભીર ઈજા પહોચતા સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખેસડાયા છે.
અકસ્માતની ઘટના બનતા ઉદલપુર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી અનુસાર મહેસાણાના ઉદલપુર ગામ નજીક બેફામ સ્પીડથી આવતી કારે રિક્ષા સાથે ભયંકર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણી વળી ગયો હતો. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે એકની હાલત ગંભીર છે. રિક્ષામાં સવાર તમામના મોત થયા છે. અનુમાન લગાવાય રહ્યું છે કે મૃતકો બહુચરાજીના દેલવાડાના રાવળ સમાજના છે.