ચૂંટણી સમયે અમે પણ સ્કૂટર પર ચાર લોકો સાથે ફરતા હતા: ગડકરી
દેશમાં રોડ સેફ્ટીને લઈ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન આવ્યું છે. તેમણે માર્ગ અકસ્માતો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે ગડકરીએ કારમાં સેફ્ટી ફીચર્સ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં પણ છ એરબેગ વાહનો બજારમાં ઉતારવાનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય ગડકરીએ સીટ બેલ્ટ ન પહેરવાને પણ ખોટું ગણાવ્યું હતું.
નીતિન ગડકરીને ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં તેમને સાયરસ મિસ્ત્રીના મૃત્યુ પર સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં ગડકરી જણાવ્યું હતું કે, રવિવારે અમદાવાદ-મુંબઈ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીએ જીવ ગુમાવ્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ હાઈવે ખૂબ જ જોખમી છે. ત્યાં ટ્રાફિક PCU 1.20 લાખ છે જે ઘણો છે. તેને 20 હજાર પીસીયુ સુધી લાવવો પડશે. તેમણે વધુમાં કહ્યું કે, 2024 સુધીમાં સરકાર માર્ગ અકસ્માતમાં 50 ટકા ઘટાડો કરવા માંગે છે. તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં આવશે.
છ એરબેગ્સવાળી કારને લઈ શું કહ્યું ?
ગડકરીને છ એરબેગ્સવાળી કાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે કાર કંપનીઓ અન્ય દેશોમાં વાહનોની નિકાસ કરે છે, ત્યારે તેઓ છ એરબેગ્સ મૂકે છે, ચાર સાથે ભારતમાં વેચે છે. છ એરબેગ લગાવવાથી કારની કિંમતમાં 50-60 હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે. આ સવાલ પર ગડકરીએ કહ્યું કે, આ ખોટું છે. જો મોટી સંખ્યામાં ઉત્પાદન હોય, તો એક એરબેગની કિંમત માત્ર 900 રૂપિયાની આસપાસ હશે. આ સાથે ભારતમાં લોકો પાછળની સીટ પર સીટ બેલ્ટ બાંધતા નથી, એ અંગેના સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું કે, સીટબેલ્ટ પાછળ બેઠેલા લોકો માટે પણ એટલું જ મહત્વનું છે જેટલું આગળ બેઠેલા લોકો માટે છે.
અમે પોતે પણ યુવાનીમાં નિયમો તોડયા હતા: ગડકરી
ગડકરીએ કહ્યું કે, યુવાનીમાં તેઓ પોતે નિયમો તોડતા હતા. પછી તેઓને ખ્યાલ ન હતો કે તે કેટલું જોખમી છે. ગડકરીએ પોતાના કૉલેજના દિવસોનો કિસ્સો આપતા કહ્યું કે, ચૂંટણી સમયે તેઓ સ્કૂટર પર ચાર લોકો સાથે ફરતા હતા અને ચલણ ન થઈ શકે તે માટે નંબર પ્લેટ પોતાના હાથથી છુપાવતા હતા. ગડકરીએ કહ્યું કે, પરંતુ હવે લોકોએ પોતાની માનસિકતા બદલવી પડશે, નિયમોનું પાલન કરવું પડશે.