સુરતના લિંબાયતના સંજય નગરમાં 4 માસની બાળકીનું શંકાસ્પદ રીતે મોત થયું હોવાની ઘટના બની છે. ડેંગ્યુ-મલેરિયાના ટીપા પીવડાવ્યા બાદ બાળકીનું મોત થયું છે. બાળકીની માતાએ સોસાયટીમાં આવેલા એક વ્યક્તિ પાસે ડેંગ્યુ-મલેરિયાના ટીપા પીવડાવ્યા હતા. જે બાદ બાળકી બેભાન થતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
સુરતના લિંબાયત વિસ્તારની ઘટના
અજાણ્યા વ્યક્તિ પાસેથી 120 રૂપિયામાં દવા લીધી હતી
મોત પર ઉભા થયા સવાલ
ડૉક્ટરે કહ્યું- ટીપા પીવડાવવાના સરકારી કર્મચારીઓ પૈસા નથી લેતા
પરિવારની એકની એક દીકરીના શંકાસ્પદ મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મહત્વનું છે કે, અજાણ્યા વ્યક્તિ પાસેથી 120 રૂપિયામાં ડેન્ગ્યુ-મેલેરિયાની દવા લીધી હતી. જોકે, સિવિલના ડોક્ટરો મૃતક બાળકીના માતા-પિતાના નિવેદન બાદ આશ્ચર્યમાં પડી ગયા હતા અને જણાવ્યું હતું કે, આવી કોઈ પણ રસી કે ટીપા પીવડાવવાના સરકારી કર્મચારીઓ પૈસા લેતા નથી.
શું બની હતી ઘટના?
સુરતના લિંબાયત વિસ્તારમાં રત્નપ્રભા સોસાયટીમાં રહેતા એક પરિવારની સાથે ચોંકવાનારી ઘટના બની છે. બપોરના સમયે અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદેલી ડેન્ગ્યુ-મેલેરિયાની દવા પીવડાવ્યા બાદ બાળકી રાત્રે રડવા લાગી હતી. ત્યારબાદ માતાએ સ્તનપાન કરાવી સૂવડાવી દીધી હતી. જોકે, સવારે બાળકી ન ઉઠતા સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.
બાળકીના શંકાસ્પદ મોતને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. જો કે હાલ તો બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકાવી પોલીસને જાણ કરાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકીના મોતનું કારણ જાણી શકાશે.