ગ્રહ-નક્ષત્રની સ્થિતિ અને ધાર્મિક પ્રસંગોના આધારે લેવાતાં લગ્નનાં મુહૂર્ત માટે ગુરુવારે છેલ્લો દિવસ રહેશે. ૧ર જુલાઈ-દેવ પોઢી એકાદશીથી હવે દેવ ઊઠી અગિયારસ સુધીનો સમય શુભ કાર્યો માટે વર્જિત ગણાય છે, પછી નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન સહિતનાં ધાર્મિક કાર્ય થશે. ત્યાં સુધી લગ્ન પ્રસંગોને ચાર મહિનાની બ્રેક લાગશે.
ધાર્મિક માન્યતા મુજબ દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં જાય છે અને દેવ ઊઠી એકાદશીએ ફરી પૃથ્વીલોકમાં પરત ફરે છે. ૧૧ જુલાઈએ શુભ કાર્યો માટેનું અંતિમ મુહૂર્ત છે, જે ૮ નવેમ્બરના રોજ દેવ ઊઠી અગિયારસ સાથે શરૂ થશે, જોકે સૂર્ય તુલા રાશિમાં એટલે કે નીચનો હોઈ લગ્નનું પહેલું મુહૂર્ત ર૦ નવેમ્બરે આવશે.
ત્યારબાદ અન્ય ત્રણ મુહૂર્ત ર૧, ર૩ અને ર૮ નવેમ્બર રહેશે. ડિસેમ્બર માસમાં ૧, ર, ૩, ૬, ૮, ૧૧ અને ૧ર તારીખનાં કુલ મળીને સાત મુહૂર્ત છે. આમ, નવેમ્બર અને ડિસેમ્બર માસનાં કુલ મળીને ૧૧ મુહૂર્ત પછી કમુરતાં શરૂ થશે.
૧પ જાન્યુઆરી ઉત્તરાયણ નિમિતે કમુરતાં પૂરાં થયા પછી નવું વર્ષ ર૦ર૦માં ફરી લગ્ન મુહૂર્ત આવશે. કમુરતાંના દિવસો દરમિયાન મંદિરોમાં અનેક ધાર્મિક ઉત્સવ ઊજવવામાં આવશે, જોકે ચાર મહિના સુધી માંગલિક કાર્ય નહીં થાય, પરંતુ ધાર્મિક કાર્ય મોટા પ્રમાણમાં થશે. ૧૧ જુલાઇથી હિન્દુ ચાતુર્માસની પણ શરૂઆત થશે.