વલસાડ હાઇવે સુગર ફેકટરી ખોખરા ફળિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકજ પરિવારના 4 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 9 મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે પરંતુ તેને પણ ઇજાઓ પહોંચી છે.
વલસાડ હાઇવે પર અકસ્માતમાં 4ના નિધન
એક જ પરિવારના પતિ, પત્ની અને 2 પુત્રીનું નિધન
9 મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ
નવસારી ગણદેવી નજીક રહેતો પરિવાર હિટ એન્ડ રનનો ભોગ બન્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા અજયભાઇ વસુંધરા ડેરી અલીપોરમાં કામ કરે છે. જેઓ કોઈ કામ અર્થે તેમની બાઈક હિરો સ્પેલન્ડર નંબર જીજે-15-AL-4077 લઇને વલસાડ હાઇવેથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે વલસાડ હાઇવે સુગર ફેકટરી ખોખરા ફળિયા નજીક ટ્રક નંબર MH-55-AG-2573 સાથે ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા દુર્ઘટના બની હતી. જે અકસ્માતમાં એકજ પરિવારના 4 વ્યક્તિઓએ અમૂલ્ય જીવ ગુમાવ્યો હતો. પરિવારમાં માતા-પિતા અને બે બાળકીના મોત નિપજ્યા હતા, જ્યારે એક 9 મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.
ઘટનાસ્થળે હાજર લોકોની આંખ ભીની થઇ ગઇ હતી
આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા લોકો દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે રસ્તા પર લોહીલુહાણ જોતા ઉપસ્થિત લોકોની આંખ ભીની થઇ ગઇ હતી. તો અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
મૃતદેહોને વલસાડ સિવિલ હોસ્પિટલ ખેસડ્યા
હાલ તો અકસ્માત સ્થળ પર વલસાડના SP ડૉ.રાજદીપસિંહ ઝાલા, મનોજસિંહ ચાવડા, રૂરલ PSI ગોહિલ સાથે જિલ્લા ટ્રાફિક વિભાગના PSI પરમારની ટીમ દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત બાળકને 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.