રોકેટ વિજ્ઞાનના પિતામહ વિક્રમ સારાભાઇની આજે 100મી જન્મજયંતિ છે. આજે ગૂગલે પણ શ્રદ્ધાંજલિ રૂપે વિક્રમ સારાભાઇનું ડૂડલ બનાવ્યું છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ વિજ્ઞાનના પ્રખર હિમાયતી હતા.
ભારતીય અવકાશ સંશોધનના પિતા અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઈસરો એક વર્ષ સુધી ઉજવણી કરશે. ઈસરોએ દેશના 100 શહેરમાં આખું વર્ષ 100થી પણ વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ઈસરો પણ આ ઉજવણી 12મી ઓગસ્ટથી શરૂ કરશે. ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ વિક્રમ સારાભાઈને નાનપણથી જ મશીનોમાં રસ પડતો. કિશોરવયે જ તેમણે ટોય ટ્રેન કિટ પરથી પ્રેરણા લઈને ટ્રેક સાથેની આગગાડી બનાવી હતી, જે આજેય અમદાવાદ સ્થિત કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જોવા મળે છે. વિજ્ઞાનમાં ભારતને સર્વોપરી બનાવવાનું સારાભાઇનું સ્વપ્ન હતું. ચંદ્રમિશન જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો વિચાર પણ વિક્રમ સારાભાઇની દેન છે.
સારાભાઈએ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના સેંટ જોન કોલેજથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. તે હંમેશા યુવાનોને આગળ વધવામાં મદદ કરતા. સારાભાઈએ અમદાવાદમાં 1947માં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા એટલે કે PRLની સ્થાપના કરી. 1962માં તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવ્યો અને 1966માં મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. વિક્રમ સારાભાઈએ 28 વર્ષની ઉંમરે ઈસરોની સ્થાપના કરવા ભારત સરકાર સમક્ષ મજબૂત દલીલો કરી હતી. રશિયાએ સ્પૂટનિક લોન્ચ કર્યો ત્યારે તેમણે ભારત સરકારને કહ્યું કે, ભારત પણ ચંદ્ર પર જઈ શકે છે, અને છેવટે ઈસરોની સ્થાપના થઈ.
વિક્રમ સારાભાઈનું 30 ડિસેમ્બર, 1971ના રોજ 52 વર્ષની વયે અવસાન થયું, એ પહેલાં તેમણે ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લૉન્ચ કરવાની તૈયારી કરી હતી. આજે આપણને કેબલ ટેલિવિઝનની લક્ઝરી મળી છે, એ માટે પણ તેમનો આભાર માનવો પડે કારણ કે, 1975માં તેમણે નાસા સાથે મળીને સેટેલાઈટ ઈન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપિરિમેન્ટ (એસઆઈટીઈ)ની સ્થાપના કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ટેક્સ્ટાઈલ રિસર્ચ કરતી સંસ્થા અટીરા, સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી જેવી સંસ્થાઓ થકી દેશના ખરા વિકાસનો પાયો નાંખ્યો. તેઓ આઈઆઈએમના સ્થાપક સભ્યોમાંના પણ એક હતા.