શહેરના એલિસબ્રિજના છેડા પર એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવકની હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવી દીધી હોવાનું પોલીસ માની રહી છે. હાલ ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે.
સવારે અગિયાર વાગ્યાની આસપાસ વિક્ટોરિયા ગાર્ડનથી એલિસબ્રિજ પર જવાના રોડ પર એક અવાવરું જગ્યામાં શ્વાન એક યુવકના પગનો ભાગ લઈને રોડ પર આવ્યું હતું. શ્વાન પગને ખાઈ રહ્યો હતો તે સમયે વાહનચાલકોને કઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી.
કેટલાક વાહન ચાલકો નજીક જઈને જોતા એક અવાવરું જગ્યા પર એક સળગેલી હાલતમાં લાશ પડી હતી. ઘટનાની જાણ ગાયકવાડ હવેલી પોલીસ તેમજ એલિસબ્રિજ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ને તપાસ શરૂ કરી હતી. લાશ એટલી વિકૃત હતીકે તેની ઓળખ થવી મુશ્કેલ હતી જેથી પોલીસે આસપાસના લોકોની પુછપરછ કરી હતી.
પોલીસની સાથે એફએસએલની ટિમ પર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુંકે યુવકની હત્યા કરીને તેની લાશને સળગાવી દેવામાં આવી છે. ચાર પાંચ દિવસ પહેલા તેની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તે કોણ છે તેની તપાસ શરૂ કરી છે.