પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલે પંજાપના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કોંગ્રેસ સરકાર, મુખ્યમંત્રી ચન્ની અને ગૃહરાજ્ય મંત્રી પર આકરા પ્રહાર કર્યા છે.
પ્રધાનમંત્રી મોદી આજે પંજાબના પ્રવાસે હતા. ફિરોઝપુરમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાની સાથે એક સભા પણ સંબોધન કરવાના હતા. પરંતુ તેમની સુરક્ષા એટલી મોટી ચુક થઈ કે ફિરોઝપુરમાં આવેલા એક ફ્લાઈઓવર પર પ્રધાનમંત્રીનો કાફલો લગભગ 20 મિનિટ સુધી રોકાયેલો રહ્યો. ખેડૂત પ્રદર્શનકારીઓને કારણે રોડ બ્લોક રહ્યો. તેના કારણે પંજાબ સરકાર અને ત્યાંની પોલીસ સામે અનેક સવાલ ઉઠ્યા છે. સુરક્ષામાં આવડી મોટી ભૂલ કેટલી બની શકતી હતી ઘાતક?
તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા વ્યવસ્થામાં થયેલી ક્ષતિ પર હવે રાજકારણ પણ તેજ થઈ ગયું છે. ભાજપે પંજાબની કોંગ્રેસ સરકાર સામે આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. તો કોંગ્રેસ હાલ બચાવની મુદ્રામાં જોવા મળી રહી છે. ખુદ મુખ્યમંત્રી ચન્નીએ માન્યું છે કે પ્રધાનમંત્રીએ પરત ફરવું પડ્યું તેનો ખેદ છે. કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ લઈ અનેક ભાજપના તથા કોંગ્રેસના નેતાઓએ પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કેપ્ટન અમરિંદરસિંહે પંજાબ પોલીસ અને સરકાર પર આરોપ લગાવ્યો છે.
અમરિંદરે કહ્યું કે, ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વવાળી સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થા નિશ્ચિત કરવામાં તમામ રીતે નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે ટ્વીટ કરી રહ્યા છે કે જે પણ થયું તે પંજાબિયતની વિરૂદ્ધ છે. અમરિંદરે એક રેલીને સંબોધિત કર્યા બાદ કહ્યું કે, જો આપણે પોતાના રાજ્યને સુરક્ષિત રાખવું છે અને અહીં કાયદો વ્યવસ્થા બનાવી રાખવી છે, તો મને લાગે છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ.
PMની સુરક્ષામાં જ્યાં ચૂક થઈ, ત્યાંથી 10 km દૂર છે પાકિસ્તાનઃ અમરિંદર સિંહ
કેપ્ટને ટ્વીટ કરીને કહ્યું કે, આ પંજાબની કાયદા-વ્યવસ્થાની તમામ રીતે નિષ્ફળતા છે. ખાસ કરીને મુખ્યમંત્રી અને પંજાબના ગૃહમંત્રીની નિષ્ફળતા છે. જો તમે દેશના પ્રધાનમંત્રીને સુરક્ષિત રસ્તો નથી આપી શકતા, તે પણ અંદાજિત 10 કિલોમીટર દૂર પાકિસ્તાની બોર્ડર લાગે છે. સત્તામાં બન્યા રહેવાનો તમારે કોઈ અધિકાર નથી. તમારે સત્તા છોડી દેવી જોઈએ.
Complete failure of law and order in Punjab, CM and HM Punjab, in particular. When you cannot provide smooth passage to the Prime Minister of the country and that too just 10km from the Pakistan border, you have no right to stay in office and should quit!
તમારા CMનો આભાર, કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો: PM મોદી
પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ માર્ગે જતી વખતે 15થી 20 મિનિટ માટે એક ફ્લાયઓવર પર જઇ રહ્યા હતા ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તામાં અવરોધ ઉભો કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ખામી ગણાવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પીએમ મોદીએ ભટિંડા એરપોર્ટ પર અધિકારીઓને કહ્યું, "તમારા CMનો આભાર, કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો."
પંજાબમાં PMની સુરક્ષામાં ચૂકને લઈ ગૃહમંત્રાલય એકશનમાં આવી છે. પંજાબ સરકાર પાસે સમગ્ર ઘટનાને લઈ ગૃહમંત્રાલયે રિપોર્ટ માંગ્યો છે. PMની સુરક્ષા માટે પંજાબ સરકાર પાસે ખુલાસા માગ્યા છે. PM સુરક્ષાના મામલે ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે PM નરેન્દ્ર મોદીના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન ગંભીર સુરક્ષા ભંગ બાદ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને આ ભૂલ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે. PM નરેન્દ્ર મોદી ભટિંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
મુખ્યમંત્રી ચન્નીએ ફોન પર વાત કરવાનો કે ઉકેલ લાવવાની ના પાડી દીધીઃ જેપી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોલીસ પર પ્રદર્શનકારીઓ સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, 'પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જઈ રહેલા પીએમ મોદીની મુલાકાતમાં વિક્ષેપ પડ્યો તે દુઃખદ છે. રાજ્ય પોલીસને લોકોને રેલીમાં સામેલ થતાં અટકાવવાની સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ચન્નીએ ફોન પર વાત કરવાનો કે ઉકેલ લાવવાની ના પાડી દીધી.