અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આયોજિત ડિનરમાં કોંગ્રેસના બધા દિગ્ગજ નેતાઓએ સામેલ થવાને લઇને ઇન્કાર કરી દીધો છે. લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન અને રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ પછી હવે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ આ ડિનરમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે.
પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે પૂર્વ પીએમ મનમોહન સિંહ આ ડિનરમાં ઉપસ્થિત રહી શકે છે, પરંતુ હવે તેમણે પણ તેમા સામેલ થવાનો ઇન્કાર કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા UPA ચેરપર્સન અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને આ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી જેને લઇને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નારાજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજને તેના પર વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે એવી પરંપરા છે કે વિપક્ષના સીનિયર નેતાઓને આમંત્રણ આપવામાં આવે, પરંતુ હવે તો તે પણ બંધ કરવામાં આવી રહ્યું છે.
ગુલાબનબી આઝાદે પણ જવાનો કર્યો ઇન્કાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પણ આ ડિનરમાં જવા માટે ના પાડી દીધી છે. ગુલામ નબી આઝાદને રાષ્ટ્રપતિ ભવનમાંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આઝાદના નજીકના સૂત્રોના જણાવ્યાં અનુસાર તેમણે નિર્ણય લીધો છે કે સોનિયા ગાંધીને આમંત્રણ આપવાની સ્થિતિમાં તેમનું કોઇ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું યોગ્ય નથી.