મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. થાણેની વેદાંત હોસ્પિટલમાં તેમણે 52 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના મિત્રોના જણાવ્યા અનુસાર, તેમણે હોસ્પિટલમાં ભરતી થવાની ના પાડી દીધી હતી, જ્યારે તેમને ઘણાં દિવસ સુધી તાવ રહ્યો હતો. ત્યારબાદ 9 દિવસ પછી ખબર પડી કે તેમને કોરોના છે. દેશમુખ એક શાનદાર ક્રિકેટર હતા. તેમના જમાનામાં તેમને મુંબઈ અને મહારાષ્ટ્ર બંને માટે રણજી ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તેમને તક નહોતી મળી.
મુંબઈના પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી મોત
તેમને મુંબઈ અને મહારાષ્ટ્ર બંને માટે રણજી ટીમમાં જગ્યા મળી હતી
તેમણે 7 મેચોમાં સતત 7 સદી ફટકારી હતી
દેશમુખના મિત્ર અભિજીત દેશપાંડેના જણાવ્યા પ્રમાણે, સચિન દેશમુખે તેમની કેપ્ટનશિપમાં વર્ષ 1986ની કૂચ બિહાર ટ્રોફીમાં ધમાલ મચાવી હતી. 5 ઇનિંગમાં તેમણે 3 સદી ફટકારી હતી, જેમાં 183, 130 અને 110 રનની ઇનિંગ સામેલ છે. અભિજીતે તેમની સાથે સ્કૂલ ટૂર્નામેન્ટ્સ પણ રમી હતી. દેશમુખ હાલના દિવસોમાં મુંબઈમાં એક્સાઇઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં સુપરિટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા.
7 મેચોમાં સતત 7 સદી
1990ના સમયમાં ઇન્ટર યૂનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સચિન દેશમુખે ધમાલ મચાવી દીધી હતી. તેમણે તે સમયે 7 મેચોમાં 7 સદી ફટકારીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ મિડલ ઓર્ડરમાં ધમાકેદાર બેટિંગ કરતા હતા. ભારતના પૂર્વ વિકેટકીપર માધવ મંત્રીના જણાવ્યા પ્રમાણે દેશમુખ એક અત્યંત પ્રતિભાશાળી અને ગિફ્ટેડ ક્રિકેટર હતા. તેમના એક નજીકના મિત્ર રમેશ વાજગેએ જણાવ્યું કે તેમનું મોત દરેક માટે એક મેસેજ છે કે કોરોનાને હળવાશમાં ન લો. હકીકતમાં બહુ મોડા હોસ્પિટલમાં ભરતી થવાના કારણે દેશમુખનું મોત થયું.
મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 23,365 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને બુધવારે 11,21,221 થઈ ગઈ. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ બીમારીથી વધુ 474 લોકોના મોત થયા છે, ત્યારબાદ મૃતકોની સંખ્યા વધીને 30,883 થઈ ગઈ છે. તો બુધવારના 17,559 લોકોને સારવાર બાદ હોસ્પિટલથી રજા મળી છે, ત્યારબાદ રાજ્યમાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 7,92,832 થઈ ગઈ. તો હવે રાજ્યમાં 2,97,125 લોકોની સારવાર ચાલી રહી છે.