કચ્છ: અબડાસા પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે હવે ગાંધીધામના વધુ ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. SITની ટીમ દ્વારા તપાસ કરીને ગાંધીધામના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જયંતિ ભાનુશાળી ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ટ્રેનની અંદર ફાયરીંગને કરી હત્યા કરીહતી. જયંતિ ભાનુશાળી હત્યાના કેસનો ભેદ ઉકેલવા માટે SITની રચના કરવામાં આવી છે. ત્યારે હવે CID ક્રાઈમ અને ગુજરાત ATSની ટીમ તપાસ માટે ગાંધીધામ પહોચી છે.
શાર્પ શૂટરોએ ટ્રેનમાં હત્યા પહેલા રેકી કરી હતી
શાર્પ શૂટરોએ આપેલી કેફિયત મુજબ અને સીઆઈડીને મળેલી માહિતી મુજબ આરોપીઓએ પહેલા ભુજમાં હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. પરંતુ ત્યાંથી નાસી છુટવા માટે યોગ્ય જગ્યા મળી શકે તેવું ન હોવાથી શાર્પશુટરેના પાડી હતી. ત્યારબાદ ટ્રેનમાં જ હત્યા કરવાનું નક્કી થયું હતું. શાર્પ શૂટરોએ ટ્રેનમાં હત્યા પહેલા રેકી કરી હતી.
જયંતિ ભાનુશાળી AC કોચમાં મુસાફરી કરે છે તેવી માહિતી પણ મેળવી હતી. હત્યારાઓએ સામખ્યાળી સુધી મુસાફરી કરી ત્યાં જ હત્યા કરવાનું નક્કી કર્યું હતું. આ બંનેને છબીલ પટેલે એડવાન્સ 5 લાખ રૂપિયા આપ્યા હતા. આ પાંચ લાખ રૂપિયામાં આરોપીઓએ હથિયાર ખરીદ્યા હતા.
અશરફે પહેલી ગોળી મારી અને ત્યારબાદ બીજી ગોળી શશીકાંતે મારી હતી
ભચાઉમાં ટ્રેન આવી પરંતુ H1 કોચ બંધ હતો એટલે બાજુના કોચમાંથી હત્યારાઓએ અંદર પ્રવેશ કર્યો હતો. કોચમાં અન્ય કોઈ વ્યક્તિ જાગતા હોવથી હત્યારાઓ બાથરૂમમાં જઈ હત્યા માટેની તૈયારી કરી લઈને H1 કોચ પાસે પહોંચ્યા હતા.
બન્નેમાંથી શશીકાંતે પહેલાં ત્યાં પહોંચી ગયો હતો તેણે જગ્યા છે તેવું જણાવી અશરફને પણ બોલાવી લીધો. જ્યાં આવ્યા બાદ અશરફે પહેલી ગોળી મારી અને ત્યારબાદ બીજી ગોળી શશીકાંતે મારી હતી.
શાર્પશૂટરો રાધનપુર માર્ગેથી ભાગ્યા હતા
હત્યા કર્યા બાદ શાર્પશૂટરો રાધનપુર માર્ગેથી ભાગ્યા હતા. ત્યાર બાદ બન્ને શાર્પ શૂટરો કુંભ મેળામાં અને વૈષ્ણોદેવી મંદિર પણ ગયા હતા. હત્યા વખતે કનેક્ટેડ રહેવા માટે છબીલ પટેલ બન્ને શાર્પ શૂટરોને મોબાઈલ આપ્યા હતા જે મોબાઈલ હત્યારાઓએ હત્યા બાદ તોડીને ફેંકી દીધા હતા.
શંકાના આ હતા કારણો
જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી જ ભાનુશાળીના પરિવારજનોએ છબીલ પટેલ પર આંગળી ચીંધવા માંડી હતી. તો બીજી તરફ રાજકારણમાં થોડું ઘણું જાણતા લોકો પણ આ કેસમાં છબીલ પટેલની ભૂમિકા નકાર શકતા ન હતા. કેમ કે, હત્યાને અંજામ આપનારા ઘણા બધા રાજકીય ઘટનાક્રમ છબીલ પટેલ અને જયંતી ભાનુશાળી વચ્ચે સર્જાયા હતા.
કેમકે છબીલ પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે ભાનુશાળીના રાજકીય હરિફ હતા. છબીલ પટેલ ભાજપમાં જોડાયા તો ભાનુશાળીની ટિકિટ કપાઈ. છબીલ પટેલને ભાજપમાંથી ટિકિટ મળતા બન્ને દુશ્મન બન્યા. બન્ને નેતાઓ એકબીજાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માગતા હતા.
દરમિયાન મનીષા ગોસ્વામી દ્વારા ભાનુશાળી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. ફરિયાદ પાછળ છબીલ પટેલનો હાથ હોવાની ભાનુશાળીને શંકા ગઈ હતી. મનીષા ગોસ્વામી સામે ભાનુશાળીએ બ્લેકમેઈલિંગની ફરિયાદ કરી. છબીલ પટેલે મનીષા ગોસ્વામીને હાથ બનાવ્યો. મનીષા અને છબીલ પટેલે ભાનુશાળીને ખતમ કરવાનો પ્લાન ઘડ્યો. ભાનુશાળીની હત્યા માટે શાર્પશૂટરોને સોપારી આપવામાં આવી.
ભાનુશાળીની હત્યાના કેસમાં છબીલ પટેલની મુશ્કેલી વધી શકે છે. ભાગેડુ જાહેર કરાયેલા છબીલની વિરૂધ્ધ તપાસ એજન્સી રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરી શકશે. છબીલ પટેલની ધરપકડ માટે વોરન્ટ પણ ઇસ્યુ કરવાની કાયદાકિય પ્રક્રિયા આગળ ધપાવી દેવાઇ છે. વોરન્ટ ઇસ્યુ થયા બાદ છબીલ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની સંપત્તિઓ ટાંચમાં લેવાશે તેવી શક્યતા દેખાઈ રહી છે.