'અમારી વિચારધારા સાથે જોડાયેલા લોકોને પાર્ટીમાં જોડાવવા આમંત્રણ'
ખોડલધામ ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે. રાજકારણમાં જોડાશે તો કઇ પાર્ટીમાં જોડાશે ? રોજબરોજ આ અંગે રાજકીય પાર્ટીઓ તરફથી નિવેદનો આપવામાં આવે છે. તો બીજી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પંજાનો સાથ છોડી શકે છે. હાર્દિકે કોંગ્રેસને અલવિદા કહેવાના સંકેત આપી દેતા અન્ય પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ મળી રહ્યા છે. ત્યારે હવે ભાજપ તરફથી નરેશ પટેલને રાજકારણમાં જોડાવા અંગે આમંત્રણ આપ્યુ છે.. રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે નિવેદન આપ્યુ હતું.
નરેશ પટેલ, હાર્દિકને લઇને ભૂપેન્દ્રસિંહનું નિવેદન
ખોડલધામના નરેશ પટેલને ફરી એકવાર ભાજપમાંથી આમંત્રણ મળ્યુ છે. રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નરેશ પટેલ અને હાર્દિક પટેલને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યુ છે. તેમને કહ્યુ કે, અમારી વિચારધારા જેને મંજૂર હોય તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે જેથી ભાજપની શિસ્ત સાથે જોડાય તેવા નેતાઓને પાર્ટીમાં આમંત્રણ છે.
નરેશ પટેલ રાજકારણમાં ક્યારે લેશે એન્ટ્રી ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે,રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજકારણમાં એન્ટ્રીને લઇને વધુ એક મુદત પડી છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ લેશે કે કેમ તે અંગે મે મહિનામાં નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યુ છે. નરેશ પટેલની દિલ્લીની મુલાકાત ફળદાયી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.
સર્વે ચાલુ છે- શિવરાજ પટેલ
નરેશ પટેલના પુત્ર શિવરાજે કહ્યુ કે રાજકારણમાં જોડાવુ કે કેમ તે અંગે સરવે ચાલુ છે. મોટાભાગના લોકો કહે છે કે નરેશ પટેલ રાજકારણથી દૂર રહે. જો કે આ અંગે દિનેશ કુંભાણી, રમેશ ટીલાળા સહિત સમૂહ મળીને સર્વે કરી રહ્યાં છે. સર્વે પૂરો થયા બાદ નરેશ પટેલ નક્કી કરશે કે રાજકારણમાં જવું કે નહીં ? ખોડલધામની પોલિટિકલ કમિટી સર્વે કરી હોવાનો નરેશ પટેલના પુત્ર શિવરાજે દાવો કર્યો છે.
ખોડલધામના બંધારણમાં ફેરફારના સંકેત - સૂત્ર
નરેશ પટેલના રાજકારણ પ્રવેશ મુદ્દે ખાસ સૂત્રો દ્વારા મોટી માહિતી મળી છે કે ખોડલધામના બંધારણમાં ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. નરેશ પટેલ માટે ખોડલધામના બંધારણમાં ફેરફાર થઈ શકે છે. નરેશ પટેલ રાજકારણ સાથે ખોડલધામના ચેરમેન પણ રહેશે. બંધારણ મુજબ રાજકારણમાં જતાં પહેલાં પદ છોડવું પડે છે. પણ હવે નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નક્કી થતા બંધારણમાં ફેરફારના વરતારા દેખાઈ રહ્યા છે. મહત્વનું એ પણ છે કે નરેશ પટેલના પરિવારના જ ખોડલધામના ચેરમેન રહે છે.
ઉમિયાધામના બંધારણમાં તો..
આપને જણાવી દઈએ કે નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા ખોડલધામ છોડશે તેવુ વાતો પણ થઈ રહી છે કારણ કે ખોડલધામના બંધારણ મુજબ રાજનીતિમાં પ્રવેશતાની સાથે જ પદ છોડવું જરૂરી છે પણ આ પહેલા બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓનો વિપરીત મત રજૂ કર્યો હતો. ખોડલધામના ટ્રસ્ટીઓએ તર્ક આપ્યો હતો કે જો બાબુ જમના પટેલ ઉમિયાધામના પ્રમુખ બની શકે તો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન કેમ ન રહે. જો કે સમગ્ર મુદ્દે નરેશ પટેલનો નિર્ણય આખરી રહેશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપશે તો તેમના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામના ચેરમેન બને તેવી શક્યતાઓ છે. દિનેશ કુંભાણી નરેશ પટેલની નજીકના વ્યકિત છે.