રાજ્ય સરકારના પૂર્વમંત્રી નાનુભાઈ વાનાણીએ સાર્વજનિક પત્ર લખ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ભાજપની પ્રચંડ જીત થઈ છે, છતાં ભાજપના કાર્યકરોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.
પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો સાર્વજનિક પત્ર
ભાજપની પ્રંચડ જીત છતા ભાજપના કાર્યકરોમાં ઉદાસીનતા
પાર્ટીમાં સત્યમેવ જયતે નહીં પણ જય એજ સત્ય: વાનાણી
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં મંત્રી રહી ચૂકેલા નાનુભાઈ વાનાણીના એક સાર્વજનિક પત્રથી રાજકારણ ગરમાયું છે. આ પત્રમાં તેમણે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતાદાન થવા પાછળનું કારણ ભાજપના કાર્યકર્તાઓમાં વધેલી ઉદાસીનતાને ગણાવ્યું છે.
રાજ્યમાં ઘટેલા મતદાનનો કર્યો ઉલ્લેખ
પૂર્વમંત્રી નાનુભાઈ વાનાણીએ પત્રમાં સૌથી ઉપર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ વિશ્લેષણ ભાજપના કાર્યકરોનું મનોબળકે મોરલ ઓછું કરવા માટે નથી. ગુજરાત ભાજપના સંગઠનને અરીસા સામે મુકીને વર્તમાનની વાસ્તવદર્શી જાણકારી મળી રહે એ માટે છે. તેઓએ તેમના પત્રમાં રાજ્યમાં ઘટેલા મતદાન અને કાર્યકરોમાં વધતી ઉદાસીનતાની સાથે આયાતી નેતાઓને ટિકિટનો પણ ઉલ્લેખ કર્યો છે.
પાર્ટીમાં સત્યમેવ જયતે નહીં પણ જય એજ સત્યઃ વાનાણી
તેઓએ પોતાના પત્રમાં ચિંતા વ્યક્ત કરતા લખ્યું છે કે, કાર્યકરો ઉદાસીન થઈ ગયા છે. વર્તમાન સમયે ગુજરાત ભાજપમાં જય તે જ સત્યની વાસ્તવિક સ્થિતિ હોવાનો સ્વીકાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર્તા તરીકે હાલના સંદર્ભે મને જે ચિંતા થઈ તેનું હું થોડું વિશ્વલેષણ કરવા માંગુ છું.
આ વખતે ઓછું મતદાન થયું તેના કારણો શું?: નાનુભાઈ વાનાણી
નાનુભાઈએ જણાવ્યું છે કે, સામાન્ય રીતે મજબૂત ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં અત્યંત ભારે માત્રામાં મતદાન થતું હોય છે. જ્યારે વર્ષ 2022માં મજબૂત ત્રિપાંખિયો જંગ થયો હોવા છતાં ગત ટર્મ 2017ની સરખામણીએ ઓછું મતદાન થયું તેના કારણો શું? ભાજપના કાર્યકરો અને શુભેચ્છકોની આટી મોટી ફોજ અને મતદાર યાદીના પ્રત્યેક પેઈઝ સુધીના શુષ્યબદ્ધ કાર્યકરોની કેડર બેઈઝ પેઈઝ સમિતિઓ બની હવા છતાં આ વખતે 7.76 ટકા ઓછું મતદાન થયું તેના કારણો શું?
આ વખતે કાર્યકરોમાં પહેલા જેવું નહોતું જનુનઃ વાનાણી
જે મતદાતાઓ મત આપવા માટે સ્વયંમ બહાર ન નીકળ્યા તેમને મતપેટી સુધી લાવવામાં બૂથ અને પેઈઝ સમિતિના કાર્યકરો જો ઉદાસીન ન રહ્યા હોત તો જે ઐતિહાસિક પરિણામો આવ્યા છે તે કરતા પણ વધારે સારા પરણામો આપણે મેળવી શક્યા હોત ખરા? એક સમયે મતદાતાઓને મતદાનમથક સુધી લાવવા માટે ભાજપના કાર્યકરોમાં જે જનુન જોવા મળતું હતું તે 2022માં ઘણું ઓછું જોવા મળ્યું તેનું કારણ શું?
કોંગ્રેસ જેવી હાલત ન થાય તેના પર નજર રાખવાની જરૂર
તેઓએ પત્રમાં લખ્યું છે કે, ભાજપના કાર્યકરોની વધતી ઉદાસીનતા આપણા માટે કોંગ્રેસની જેમ આત્મઘાતી સાબિત ન થાય તે ગંભીરતાથી જોવાની જરૂર છે. નાનુભાઈએ લખ્યું છે કે, ઉમેદવારની પસંદગી વખતે પક્ષની વફાદારીનું ઓછું અને જીતી શકે કે કેમ તે જોવાનું વધેલું સત્તાલક્ષી વલણ પણ સમર્પિત કાર્યકરોમાં ઉદાસીનતાનું કારણ બની શકે છે.
'મતદારોને મતપેટી સુધી પહોંચાડવા સંગઠન સંપૂર્ણ સફળ રહ્યું નથી'
તેઓએ લખ્યું છે કે, નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશ કક્ષાએ તથા ગુજરાત સરકારે રાજ્ય કક્ષાએ કરેલા ઐતિહાસિક વિકાસ કાર્યોની વાતને મતદારો સુધી પહોંચાડ્યા પછી તે મતદારોને મતપેટી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આપણું સંગઠન સંપૂર્ણ સફળ રહ્યું નથી. તેનો સ્વીકાર વર્ષ 2022માં ઘટેલા 7.76 ટકા મતદાનની હકીકત પરથી આપણે કરવો જ પડશે. આપણે ભાજપની હાલત આજે એ કરી છે કે નરેન્દ્ર મોદી વગરનું ભાજપ જાણે 'એકડા વગરનું મીંડુ હોય'. તેમાં દોષ નરેન્દ્રભાઈનો નહીં, આપણા સૌનો છે. વર્ષ 2022માં ગુજરાતમાં ભાજપની બાહ્ય વિજયયાત્રા તો શાનદાર અને જાનદાર નીકળી જ છે. તેમ છતાં ભાજપ અને રાષ્ટ્રને સમર્પિત હોય તેવા બધા જ મતદારોને મતપેટી સુધી પહોંચાડવાની કરેલ કાગળ પરની વ્યવસ્થામાં જો આપણું સંગઠન પૂરુ સફળ થયું હોત તો આ જીત આંતરીક રીતે પણ અતી ભવ્ય અને દિવ્ય બનાવીને આપણએ નરેન્દ્રભાઈન હજુ પણ વધારે ગૌરવ અપાવી શક્યા હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી.