મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ ઉદ્ધવ સરકાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની શિવસેના સરકારના 56 માંથી 35 ધારાસભ્યો પક્ષના નેતૃત્વથી અસંતુષ્ટ છે. શનિવારે એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતાં રાણેએ મહાવિકાસ અઘાડીને 'નેગેટિવ' સરકાર ગણાવતાં કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસને રાજ્યમાં સરકાર બનાવવામાં 5 અઠવાડિયાથી વધુનો સમય લાગ્યો છે.
પૂર્વ CM નારાયણ રાણેનું મોટું નિવેદન
શિવસેનાના 35 ધારાસભ્યો પક્ષથી નારાજ
મહારાષ્ટ્રમાં ફરી નવા જૂનીના એંધાણ
પૂર્વ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે મહારાષ્ટ્રમાં સત્તા પર પરત આવશે. તેમણે કહ્યું કે, ભાજપ પાસે 105 ધારાસભ્યો છે, જ્યારે શિવસેનાના માત્ર 56 ધારાસભ્ય છે અને તેમાંથી 35 'અસંતુષ્ટ' છે. રાણેએ એમ પણ કહ્યું કે, ઠાકરે સરકારનું ખેડુતોનું દેવું માફ કરવાનું વચન પણ 'દેખાડો' છે.
સરકાર ચલાવવાનું નથી જાણતા ઉદ્દવ ઠાકરે
સીએમ ઉદ્ધવ ઠાકરેની ઔરંગાબાદ મુલાકાત અંગે બોલતા રાણેએ કહ્યું કે તેઓ કોઈ યોજનાની ઘોષણા કર્યા વિના ત્યાંથી પરત ફર્યા છે. તેઓ સરકાર ચલાવવા વિશે કંઇ જાણતા નથી. તેમણે ઉદ્ધવ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જેણે સરકાર બનાવવા માટે 5 અઠવાડિયાનો સમય લીધો છે, તેઓ તેને કેવી રીતે ચલાવશે. જ્યારે ભાજપ અને રાજ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એક સાથે થયા ત્યારે તેમણે ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી ન હતી. તેમણે કહ્યું કે આ મામલે ફક્ત ભાજપના વડા જ કંઈ કહેશે.
રાજ ઠાકરે અને ફડણવીસ વચ્ચે થઇ બેઠક
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગયા અઠવાડિયે મંગળવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકાત મુંબઇમાં થઈ હતી. બંને લગભગ દોઢ કલાક સુધી મળ્યા હતા. આ બેઠક પછી મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણની ચર્ચાઓ થઈ રહી છે.