કોંગ્રેસમાં પક્ષાધ્યક્ષના પદને લઈને ઘણા સમયથી ચર્ચાઑ ચાલી રહી છે. એક અટકળ મુજબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા કમલનાથણે મળી શકે છે કાર્યકારી અધ્યક્ષની જવાબદારી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો અધ્યક્ષપદે બેસવા નનૈયો યથાવત
સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત પણ એક મહત્વનું કારણ
હાલ પૂરતા કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે તેવી સંભાવના
સતત બે લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની ડૂબતી નાવ સાંભળવા માટે કોઈ મોટા નેતા તૈયાર નથી. યુવા નેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદે બેસવાનો ઇનકાર કર્યો છે તો બીજી તરફ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની સતત નાદુરસ્ત તબિયતના કારણે હવે કોંગ્રેસને કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવાની ફરજ પડી છે. જ્યાં સુધી પક્ષને નવા અધ્યક્ષ ન મળી જે ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષથી જ કામકાજ ચલાવવામાં આવશે એવું માનવામાં આવે છે.
કમલનાથ બની શકે છે નવા અધ્યક્ષ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ આજે બપોરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત લેવાના છે. છેલ્લા ઘણા સમયથી સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયતને કારણે હવે કાર્યકારી અધ્યક્ષની જવાબદારી કમલનાથને સોંપવામાં આવી શકે છે. કમલનાથ પાર્ટીના વરિષ્ટ અને વફાદાર નેતાઓ પૈકીના એક માનવામાં આવે છે ત્યારે એવી અટકળો સેવાઇ રહી છે કે કમલનાથને આ જવાબદારી સોંપવા અંગેની ચર્ચા કરવા માટે જ ખાસ બોલાવવામાં આવ્યા છે.
એક જ વર્ષમાં ત્રણ વાર ચૂંટણી નિષ્ફળ
કોરોના મહામરીને ધ્યાનમાં લઈ 23 જૂનના દિવસે થનારી અધ્યક્ષ પદ માટેની ચૂંટણી અનિયત સમયમર્યાદા માટે સ્થગિત કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ત્રણ વાર કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી કરવામાં નિષ્ફળ રહ્યું છે. કોંગ્રેસની કાર્યકારી સમિતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી નવા અધ્યક્ષની ચૂંટણી નથી થતી ત્યાં સુધી વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી જ આ જવાબદારી નિભાવશે.
લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ રાહુલ ગાંધીએ આપ્યું હતું રાજીનામું
વર્ષ 2019 માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળતા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું હતું. રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ છોડ્યા બાદ સોનિયા ગાંધીએ ફરી વચગાળાના અધ્યક્ષ તરીકે ધુરા સાંભળી હતી.