જામનગરના જામજોધપુરના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલ પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ અને પોલીસ કર્મચારી પ્રવીણસિંહ ઝાલાને જામનગરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે સંજીવ ભટ્ટની વર્ષ 2011 પછી પનોતી શરુ થઇ...
પૂર્વ આઈપીએસ ઓફિસર અને વિવાદોમાં રહેલા સંજીવ ભટ્ટને 30 વર્ષ જૂના જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જેને લઇને સમગ્ર પોલીસબેડામાં ચકચારમચી ગઇ છે. છેલ્લા નવ વર્ષથી સંજીવ ભટ્ટ કોઇના કોઇ મુદ્દે વિવાદોમાં આવ્યા છે જેને લઇને તેમને અનેક વખત જેલની હવા પણ ખાવી પડી છે. સંજીવ ભટ્ટ ડ્રાઇવીન રોડ પર રહે છે અને મુંબઇથી તેમને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. વર્ષ 1998માં તેઓ પોલીસ સર્વિસમાં આવ્યા હતા, અને તેમના ફાળે ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી. રાજ્યની જાસુસી એજન્સી, સાબરમતી જેલ અધિક્ષક, આઇબી સહિતની જગ્યાઓ પર પોતાની ડ્યુટી નિભાવી છે.
આ કેસમાં થઇ હતી સંજીવ ભટ્ટની ધરપકડ
1996માં સંજીવ ભટ્ટ બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમને પાલીના એડવોકેટ સુમેરસિંહને 1.15 કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી. આ ઘટના બાદ એડવોકેટ સુમેરસિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટો કેસ ઉભો કર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ કેસમાં વર્ષ 2018માં સીઆઇડી ક્રાઇમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી હાલ તે પાલનપુરની જેલમાં બંધ છે.
જેલના ઇતિહાસમાં બની હતી આ ઘટના
સંજીવ ભટ્ટની 1999માં ગાંધીનગરમાં આઈબીમાં ડીઆઈજી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2002ના ગોધકાકાંડ બાદ તેમની એસઆરપી કેમ્પમાં બદલી કરી દેવામાં આવી હતી. આઇબીમાં ડીઆઇજીની ફરજ પુરી કર્યા બાદ વર્ષ 2003માં સંજીવ ભટ્ટને સાબરમતી જેલમાં અઘિક્ષક બનાવ્યા હતા. ભટ્ટ જેલ અધિક્ષક હતા તે સમયે તેમને ભોજનમાં મેન્યુઅલમાં ફેરફાર કરાવ્યો હતો જેનો વિવાદ સર્જાતા તેમની બદલી કરી દેવામાં આવી હતી. સંજીવ ભટ્ટની બદલી થતા જેલના કેંદીઓએ ભુખ હડતાળ કરી હતી. જેલના ઇતિહાસમાં એક સાથે તમામ કેદીઓએ ભુખ હડતાળ કરી હોય તેવો પહેલો કિસ્સો હતો.
નરેન્દ્ર મોદીની કામગીરી પર ઉઠાવ્યા હતા સવાલ
વર્ષ 2011માં સંજીવ ભટ્ટ ત્યારે ચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે 2001માં તે સમયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું. તેમણે નરેન્દ્ર મોદીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 2002ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને ભરોસો નથી.
સંજીવ ભટ્ટનો સીડીકાંડ પણ બહાર આવ્યો હતો
ત્યારબાદ વર્ષ 2011માં સંજીવ ભટ્ટ સામે તેમના જ પોલીસ કર્મચારી કે.ડી પંતે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. 2011થી ફરજમાં બેદરકાર ભટ્ટને 2015માં સસ્પેન્ડ કરાયાં હતાં જૂનાગઢમાં બદલી કરાયાં છતાંય ફરજ પર હાજર નહોતા થતા. વર્ષ 2015માં સંજીવ ભટ્ટનો સીડીકાંડ પણ બહાર આવ્યો હતો જે સીડીની ગાંધીનગર એફએસએલ ખાતે ચકાસણી પણ થઇ હતી.
સંજીવ ભટ્ટ પર સરકારની મહત્વની માહિતી ચોરવાનો આક્ષેપ
સંજીવ ભટ્ટના કૌટુંબિક મિત્ર ગણાતા તુષાર મહેતાએ પણ તેમના વિરુધ્ધમાં ફરિયાદ કરી હતી. વકીલ તુષાર મહેતાએ આક્ષેપ કર્યા હતા કે તેમનો મેઇલ આઇડી પાસવર્ડ મેળવીને સંજીવ ભટ્ટે સરકારની મહત્વની ઇન્ફોર્મેશન ચોરી લીધી છે. ત્યારબાદ ગત વર્ષે સજીવ ભટ્ટ પર અમદાવાદના નિવાસસ્થાને ગેરકાયદે દિવાલ બનાવી હતી બાદમાં કોર્પોરેશન દ્વારા આ દિવાલનુ ડીમોલીશન કરાતા તે વિવાદમાં આવ્યા હતા. આ સિવાય સંજીવ ભટ્ટે દેવી દેવતા ટ્વીટ કરતા વિવાદમાં આવ્યા હતા.